![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/8b84ed5b-0ca8-4f83-a801-3b427daa0f6c.jpg)
પાંથાવાડામાં ગ્રામ પંચાયતમાં આવી તલાટીને લાફો ઝીંકી દીધો, ફરીયાદ દાખલ
કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતમાં તલાટીને લાફો મારવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે શૌચાલયના લાભાર્થીઓની મીટીંગ દરમ્યાન પંચાયતના સભ્ય અચાનક તલાટી સમક્ષ પહોંચ્યા હતા. જેમાં મીટીંગમાં પોતાને કેમ ન બોલાવ્યો ? તેમ કહી તલાટીને લાફો ઝીંકી, પેટમાં લાત મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ખુદ તલાટીએ પાંથાવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના બાપલા ગ્રામ પંચાયતના તલાટીને ધમકી અને ફરજમાં રૂકાવટની ઘટના સામે આવી છે. ડીસાના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતાં મહેશભાઇ પ્રહલાદજી જાટ બાપલા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે બપોરે અઢી વાગ્યે ગામમાં શૌચાલય યોજનામાં બાકી લાભાર્થીઓની મીટીંગ બોલાવી હતી. જે બાદ મીટીંગ પતાવી તલાટી પોતાની ચેમ્બરમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન અચાનક ગ્રામ પંચાયતના સભ્ય ભીલ જગશીભાઇ દેવાભાઇ પંચાયતમાં આવ્યા હતા. નશાયુક્ત હાલતમાં ઓફીસમાં આવી કહેવા લાગેલ કે, તે મને મીટીંગમાં કેમ ના બોલાવ્યો ? તેવું કહી લાફો માર્યો અને ધમકી આપી હોવાની ઘટના બની હોવાનુ તલાટીએ ફરીયાદમાં લખાવ્યુ છે.
બાપલા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીએ આવી ધમકી અને ફરજમાં રૂકાવટની ફરીયાદ દાખલ કરાવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં જગશીભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ તલાટીને ગાળો બોલી અને લાફો મારી દીધો હોવાનું લખાવ્યુ છે. આ સાથે જગશીભાઇએ તલાટીને પેટમાં લાતો મારતાં ગ્રામ પંચાયતમાં લાભાર્થી હાજર હોવાથી તેઓ વચ્ચે પડતાં જતાં-જતાં પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ ફરીયાદમાં લખાવ્યુ છે. જેને લઇ પાંથાવાડા પોલીસે જકશીભાઇ સામે આઇપીસીની કલમ 332,186,294(b),506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.