સિદ્ધપુરમાં શિશુ મંદિર અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે ગણિત મેળો યોજાયો
રામાનુજનની 136મી જન્મ જયંતી નિમિત્તે 22 ડિસેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગણિત દિનની ઉજવણી કરવામાં આવે છે. જેને લઈ વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ, શ્રી સરસ્વતી શિશુમંદિર સિદ્ધપુર તથા રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી અભિનવ હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ની 18 કૃતિઓમાં 30 વિદ્યાર્થીઓ તથા શ્રી સરસ્વતી શિશુમંદિરના ધોરણ 6 થી 8ની 24 કૃતિઓમાં 44 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કૃતિઓ ગણિત વિષય પર રજૂ કરી હતી. જેમાં કોયડા ઉકેલ, જાદુઈ ગણિત, ગણિત ગમ્મત, પાયથાગોરસના પ્રમેયનું મોડલ, વર્તુળ આલેખ, ક્વીઝ બોર્ડ, વૈદિક ગણિતની રીતે ગુણાકાર બાદબાકી અને વર્ગ કરવા, જાદુઈ ચોરસ, ઘડિયાની રચના વગેરે જેવી કુલ 42 કૃતિઓમાં 74 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સિદ્ધપુર શહેરની લગભગ 10 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 700 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાલયના વાલીઓ ગણિત મેળો નિહાળવા તથા બાળકોને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. સ્માર્ટ ટીવી પર ગણિતના પ્રશ્નો તૈયાર કરી વિદ્યાર્થીઓને જવાબ પૂછવાની કૃતિએ ગણિત મેળામાં આકર્ષણ જણાવ્યું હતું.
ગણિત મેળાનું ઉદ્ઘાટન મોઢ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, વડનગરના પ્રમુખ પ્રવીણભાઈ મોદીએ કર્યું હતું. તેમજ મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ નિરીક્ષક (EI) ભરતભાઈ પટેલ, સિદ્ધપુરના શાસનાધિકારી જયરામભાઈ જોશી, રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ઝેડ. એન. સોઢા, રોટરી ક્લબ ઓફ સિદ્ઘપુરના પ્રમુખ કનુભાઈ પંચાલ, મંત્રી દશરથભાઈ પટેલ તથા શિશુ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.ગણિત મેળાની પ્રસ્તાવના અભિનવ હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય ડૉ. રૂપેશભાઈ ભાટિયા એ કરી હતી. જેમાં ગણિતની કૃતિઓ બાળકોએ જાતે તૈયાર કરી છે. રાષ્ટ્રીય ગણિત દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઝેડ. એન.સોઢા તથા ડૉ. રૂપેશભાઈ ભાટિયા લિખિત વૈદિક બીજગણિત પુસ્તકનું મહેમાનઓ દ્વારા વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક અક્ષરતમ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે.પુસ્તકમાં બીજ ગણિતના બિંદુઓ જેવા કે,બહુપદીઓના સરવાળા-બાદબાકી, બહુપદીઓના ગુણાકાર – ભાગાકાર, બહુપદીઓના અવયવો, સુરેખ સમીકરણનો ઉકેલ – 1, 2 અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ વગેરે જેવા બિંદુઓ વૈદિક ગણિતથી કરી શકાય એવી રીતોનો સમાવેશ કર્યો છે.અતિથિ વિશેષ સોઢા જણાવ્યું હતું. વિદ્યાલયનો પ્રશંસનીય અને ઉદાહરણીય પ્રયાસ બિરદાવવા યોગ્ય છે.મુખ્ય જયરામભાઈ જોશીએ કહ્યું કે, ગણિત અઘરો વિષય આવા મેળાના માધ્યમથી સરળ બને છે. આવા વિશિષ્ટ કાર્યક્રમોનો લાભ સિદ્ઘપુરના તમામ બાળકોને મળે એવું કરવા સૂચન કર્યું. તેમજ ભરતભાઈ પટેલે કહ્યું કે, ગણિતનો અંગ્રેજી શબ્દ MATHS નો અર્થ સમજાવી ગણિતનું મહત્વ સમજાવ્યું. ઉદ્ઘાટક પ્રવિણભાઈ મોદીએ કહ્યું કે,જીવનમાં ડગલે ને પગલે ગણિત જરુરી છે. કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલનવિદ્યાલયના શિક્ષક અરવિંદભાઈ દવેએ કર્યું હતું.