![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/5_1600754441.gif)
રાજ્યમાં 114 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ગુજરાતમાં નવસારીના વાંસદા અને તાપીના ઉચ્છલમાં 4-4 ઈંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજાએ સપ્ટેમ્બરના અંત સુધી મહેર વરસાવવાનું જારી રાખ્યું છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસદા અને તાપી જિલ્લાના ઉચ્છલમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર વધુ રહી છે અને તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તમામ તાલુકામાં વરસાદ છે. તેમાં પણ નવસારીના વાંસદામાં 4 ઈંચથી વધુ, તાપીના કુકરમુંડામાં 4 ઈંચ, વડોદરાના કરજણ, સુરતના ઉમરપાડામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડા અને નર્મદાના નાંદોડમાં 3 ઈંચ, તાપીના નિઝર અને ડોલવણ, સુરતના માંડવી અને સુરત શહેર તથા ડાંગના વધઈ અન પોરબંદરના કુતિયાણામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના બારડોલી, મહુવા અને માંગરોળ, જૂનાગઢના વિસાવદર, નવસારીના ખેરગામ અને નવસારી, રાજકોટના ધોરાજી, ભરૂચ, તાપીના ઉચ્છલ, સોનગઢ અને વ્યારા, ડાંગના આહવા, વડોદરાના પાદરા, છોટાઉદેપુરના ક્વાંટ, વલસાડના ધરમપુર અને નર્મદાના સાગબારામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલા આંકડા અનુસાર રાજ્યમાં આ વર્ષે 132 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનના એક જિલ્લામાં સૌથી વધુ 272 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં 114 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 96 ટકા, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 178 ટકા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં 113 ટકા વરસાદ નોંધાયા છે.