રાજસ્થાનઃ ભજનલાલ શર્મા CM પદના લેશે શપથ, મોદી-શાહ આપશે સમારોહમાં હાજરી
ભજનલાલ શર્મા શુક્રવારે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાશે, જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. આ ઉપરાંત દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા કેબિનેટ સભ્યો તરીકે શપથ લેશે.
રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપે 115 બેઠકો જીતી છે. કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જ્યાં હવે 5 જાન્યુઆરીએ મતદાન થશે.
આજે યોજાનાર સમારોહ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી ગુરુવારે પણ ચાલુ રહી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. રાજધાનીના મુખ્ય માર્ગો અને પ્રવેશ માર્ગોને શણગારવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને લગતા પોસ્ટર અને બેનરો સહિત ભાજપના ઝંડા અને હોર્ડિંગ કટઆઉટ પણ લગાવવામાં આવ્યા છે.
જન્મદિવસે શપથ લેશે
ખાસ વાત એ છે કે આજે ભજનલાલ શર્માનો જન્મદિવસ પણ છે. આ તેમનો 56મો જન્મદિવસ છે. ગુરુવારે રાત્રે 12 વાગ્યા પછી ભજનલાલે સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.