![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/orig_abu_1600575738.jpg)
ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ તારંગા હિલ આબુ રોડ સાથે જોડાઇ જશે, બે મોટા યાત્રાધામ એક જ રૂટ પર હશે, 2014માં આ પ્રોજેક્ટની જાહેરાત થઇ હતી
રેલવેને લઇને આબુ રોડને બે મોટી સોગાદ મળવાની છે. તેમાં એક છે વિદ્યુતીકરણનો પ્રોજેક્ટ અને બીજો સૌથી ચર્ચિત તારંગા હિલ પ્રોજેક્ટ. ખાસ વાત એ છે કે તારંગા હિલ પ્રોજેક્ટ માટે તાજેતરમાં અંતિમ લોકેશન સરવે પૂરો થઇ ચૂક્યો છે અને હવે આ પ્રોજેક્ટ માટે જલદી કામ શરૂ થવાનું છે. તારંગા હિલ પ્રોજેક્ટની જાહેરાત 2014માં કરાઇ હતી અને ત્યારે આ કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું પણ કોઇ કારણસર અટકી ગયું. તાજેતરમાં આ પ્રોજેક્ટ માટે લોકેશન સરવે કરાયો. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ગુજરાતના બે મોટા ધાર્મિક સ્થળ અંબાજી અને તારંગા હિલ આબુ રોડ સાથે રેલ લાઇનથી સીધા જોડાઇ જશે. તાજેતરના છેલ્લા લોકેશન સરવે બાદ સામે આવ્યું કે આ પ્રોજેક્ટ અંતર્ગત 89.38 કિ.મી. લાંબી રેલવેલાઇન બિછાવાશે. ગુજરાતનું તારંગા હિલ જૈનોનું મોટું ધાર્મિક સ્થળ છે. પ્રોજેક્ટમાં આબુ રોડથી અંબાજી, દાંતા અને સતલાસણા થઇને તારંગા હિલ સુધીની રેલવે લાઇન બિછાવાશે.
તારંગા હિલ ગુજરાતનું સૌથી મોટું જૈન ધાર્મિક સ્થળ છે. જુલાઇ, 2014માં પ્રોજેક્ટની જાહેરાત થઇ હતી. ત્યારે તેનું બજેટ 1699 કરોડ રૂ. રખાયું હતું અને પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂરો કરવાનો હતો પણ હવે નવેસરથી પ્લાન તૈયાર કરાશે, કેમ કે હવે તેનો ખર્ચ પણ વધી ગયો છે.
આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ પણ હશે કે ગુજરાતના બે મોટા ધાર્મિક સ્થળ અંબાજી અને તારંગા હિલ સાથે પ્રદેશનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ સીધું જોડાશે. રેલવે સાથે સીધી કનેક્ટિવિટી હોવાના કારણે માઉન્ટ આવતા પર્યટકોની સંખ્યા પણ ઘણી વધી જશે.
610 કરોડ રૂ.ના ખર્ચે અજમેર-પાલનપુર રેલવે ટ્રેકના વિદ્યુતીકરણનું 80 ટકા કામ પૂરું થઇ ચૂક્યું છે. જાન્યુ. 2021થી ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો ટારગેટ રખાયો છે. આ સાથે જ મદારથી પાલનપુર સુધી 369.88 કિ.મી. લાંબા ડબલ 33.45 કિ.મી.નું કામ પૂરું થઇ ચૂક્યું છે. બાકીના 37.43 કિ.મી.નું કામ પણ ચાલુ નાણાકીય વર્ષમાં પૂરું કરી લેવાશે. ડીએફસીસીઆઇએલ ટ્રેક પર ગત 30, 31 જુલાઇએ કરજોડાથી મારવાડ જંક્શન સુધી અને મારવાડ જંક્શનથી દૌરાઇ સુધી લોકો ટ્રાયલ કરાઇ ચૂકી છે. માલ પરિવહન માટે DFC કોરિડોર તૈયાર કરાઇ રહ્યો છે.
આ પ્રોજેક્ટથી આબુ રોડ, અંબાજી તથા તારંગા હિલ પરસ્પર જોડાઇ જશે. તેનાથી પર્યટન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી શકશે. તદુપરાંત, રેલવે વિદ્યુતીકરણનું કામ શક્ય તેટલું જલદી પૂર્ણ કરાવીને આવતા વર્ષે જાન્યુ.માં અજમેર-પાલનપુર ટ્રેક પર ઇલેક્ટ્રિક ટ્રેન સંચાલિત કરવાનું લક્ષ્ય રખાયું છે.
હાલ આ ફાઇનલ લોકેશન સરવે થયો છે. હવે ટેક્નિકલ વિભાગની ટીમ આ સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા ઘડશે અને ટ્રેક ક્યાં-ક્યાંથી પસાર થશે તે નક્કી કરશે. આ દરમિયાન જમીન સંપાદનની પ્રક્રિયા પણ શરૂ કરાશે. તે અંગે ફરી પ્લાન તૈયાર કરાશે.