પાટણના પદ્મનાભ ચાર રસ્તાથી મીરા દરવાજા રોડ પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સ્થાનિકોને હાલાકી
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ મોહલ્લા પોળો અને સોસાયટી સહિત જાહેર માર્ગો પર ભૂગર્ભ ના દૂષિત પાણી રેલાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તાથી મીરા દરવાજા તરફ આવવાના માર્ગ પર છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા અહીંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો અને સ્થાનિક સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ વિસ્તાર વોર્ડ નંબર 11 માં આવેલો હોવાથી પાલિકા પ્રમુખના વોર્ડ માં જ ભૂગર્ભ ના ગંદા પાણી રેલાતા સ્થાનિક રહીશો પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે આ જ માર્ગ પર પદ્મનાભ ભગવાન જેવા પવિત્ર સ્થળની સાથે સાથે મસ્જિદો અને દરગાહ પણ આવેલી હોવાથી લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે તો એક બાજુ પાટણ શહેરમાં લગ્ન સિઝન જોવા મળી રહી છે તો બીજી બાજુ આ લગ્ન સિઝનમાં જ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભ ના ગંદા પાણી રેલાતા લોકોના પ્રસંગમાં પાલિકા આડરૂપ સાબિત થઈ રહી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ શ્યામ બંગલો સોસાયટી ખાતે લગ્ન પ્રસંગ હોવાથી બહારથી આવતા મહેમાનો પણ પાલિકાની ખરાબ છાપ લઈને ગયા હતા.
શ્યામ બંગલો સોસાયટીના રહીશ રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે અમારી સોસાયટીમાં લગ્ન પ્રસંગ હોય તેઓનો પ્રસંગ ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર વહેતા લગ્ન નો પ્રસંગ બગડ્યો હોવાનું જણાવી નગરપાલિકાનું વહીવટ ખાડે ગયો હોવાથી તાત્કાલિક ધોરણે પદ્મનાભ જવાના માર્ગ પર છાસવારે ઉભરાતા ભૂગર્ભ ના ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા પાલિકા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી આમ પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ છાશવારે ભૂગર્ભ ના ગંદા પાણી રેલાતા પાલિકા પ્રમુખની કામગીરી સામે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા છે.