![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/13-4.jpg)
હિંમતનગર બરેલી મિલ રોડ પર ગટરના પાણીનો ભરાવો
હિંમતનગરના રેલવે સ્ટેશન પાસેના બરેલી મિલ રોડ પર છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાય છે અને રોડ પર ગટરના પાણીનો ભરાવો થાય છે. જેને લઈને સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સર્જાઈ છે. તો પીવાના પાણીમાં પણ ગટરની દુર્ગંધ આવતા સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ ગટરનું પાણી રોજ ભરાય છે.હિંમતનગરના દુર્ગા રેલવે ઓવરબ્રીજની કામગીરી શરુ થઇ હતી. જેને લઈને ગટરને નુકશાન થયું હતું. આથી પાલિકા દ્વારા દિવાળી પહેલા કામગીરી હાથ ધરવામાં આવી હતી.દરમિયાન છેલ્લા 10 દિવસથી બરેલી મિલ રોડ પર ગટરનું પાણી ઉભરાય છે અને આખાય રોડ પર ગટરના પાણીનો ભરાવો થઈ જાય છે. અહીંથી પસાર થતા શહેરજનો અને સ્થાનિકોને માથું ફાટી જાય તેવી દુર્ગધ વચ્ચે ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. તો બરેલી મિલ વિસ્તારના સ્થાનિકો ગટરના પાણીને લઈને રોગચાળાનો ભોગ બન્યા છે. તો પીવાના પાણીમાં પણ ગટરના પાણીની દુર્ગંધ આવે છે. જેને લઈને સ્થાનિકોએ પણ હિંમતનગર નગરપાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી.
આ અંગે બરેલી મિલ વિસ્તારમાં રહેતા સ્થાનિક ગણપતભાઈ સિસોદિયાએ જણાવ્યું હતું કે, બરેલી મિલ વિસ્તારના રોડ પર અલગ અલગ જગ્યાએ ગટરો બનાવેલી છે. જ્યાંથી સવારે ગટરનું પાણી ઉભરાય છે, જે આખા રોડ પર ભરાય છે. જેને લઈને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે અને પીવાના પાણીમાં પણ દુર્ગંધ આવે છે. રોડ પર પાણી ઓછુ થાય એટલે ગટરના કાદવનો થર જામી જાય છે. છેલ્લા 10 દિવસથી પરિસ્થિતિ વધુ ખરાબ થઇ છે.આજે પણ સવારે ગટરમાંથી પાણી ઉભરાયું હતું અને રોડ પર ગટરનું પાણી ભરાઈ ગયું હતું.હિંમતનગર નગરપાલિકામાં રજૂઆત પણ કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઇ નથી. હાલમાં પણ ગટર ઉભરાય છે અને પાણી રોડ પર ભરાઈ જાય છે. આથી પાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે જેને લઈને રોગચાળો વધુ વકરતો અટકી જાય.