હિંમતનગર ઇન્કમટેક્સ વિભાગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેરણા પાસે આવેલા ગ્રોમોર કેમ્પસમાં આવકવેરા અંગેની સમજણ આપતો કાર્યક્રમ અમદાવાદના પ્રિન્સીપલ કમિશનર ઓફ ઇન્કમટેકસ ભુવનેશ કુલશ્રેષ્ટની અધ્યક્ષતામાં બુધવારે યોજાયો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને આવકવેરા અંગેની પાયાની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એડીશનલ કમિશનર ઓફ ઇન્કમટેકસ રેન્જ-2 અમદાવાદના પુરૂષોત્તમકુમાર તેમજ હિંમતનગર વોર્ડ 1ના ઇન્કમટેક્સ ઓફિસર રમેશ કેરલા સહિત અગ્રણીઓએ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની રૂપરેખા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ભુવનેશ કુલશ્રેષ્ટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાનકાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. ત્યારે પ્રત્યેક કરદાતાએ સમયસર ઇન્કમટેક્સ રીર્ટન ભરવુ જરૂરી છે. ઇન્કમટેક્સની રકમમાંથી દેશમાં વિકાસના કામો કરવામાં આવે છે. રોડ-રસ્તા, હોસ્પિટલો, શિક્ષણ સહિતની વિવિધ યોજનાઓ માટે આ નાણાની રકમ ખર્ચ કરવામાં આવતી હોય છે. ત્યારે પ્રત્યેક કરદાતાએ ઇમાનદારી પૂર્વક ઇન્કમટેક્સ સમયસર ભરવો જોઇએ તેવી જાણકારી આપી હતી. આ પ્રસંગે ગ્રોમોર કેમ્પસના ટ્રસ્ટી બી.એલ. પટેલ, પ્રિન્સીપાલ ભરત સુથાર, ધીરેન બારોટ સહિત ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.