![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/09-4.jpg)
હિંમતનગર હોમગાર્ડ યુનિટની પ્લેકાર્ડ સાથે રેલી યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોમગાર્ડ યુનિટ સ્થાપના દિવસની ઉજવણીએ હિંમતનગરમાં આજે જિલ્લા કચેરીથી હોમગાર્ડ જવાનોની રેલી યોજાઈ હતી. આ રેલીનું ઇન્ચાર્જ કમાન્ડન્ટે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે રેલી શહેરના માર્ગો પર ફરી હતી. તો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને માનસિક દિવ્યાંગોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.આ અંગેની વિગત એવી છે કે, હોમગાર્ડ યુનીટના સ્થાપના દિવસની ઉજવણીએ બુધવારે હિંમતનગરમાં સબજેલ સામે આવેલી જિલ્લા કચેરી ખાતેથી હિંમતનગર હોમગાર્ડ યુનિટની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું લીલી ઝંડી આપી ઇન્ચાર્જ કમાન્ડન્ટ પાયલ સોમેશ્વરે પ્રસ્સ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ચેતન રાવલ, ગોલાપસિંહ ઉદાવત સહીત અધિકારીઓ અને મહિલા અને પુરુષ હોમગાર્ડ જવાનો જોડાયા હતા.
હિંમતનગર જિલ્લા કચેરીથી નીકળેલી હોમગાર્ડ જવાનોની પ્લેકાર્ડ સાથે જાગૃતિ ફેલાવતી રૂટ માર્ચ કરતી શહેરની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જ્યાં ડૉ.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિનને લઈને પ્રતિમાને હોમગાર્ડના અધિકારીઓ, મહિલા અને પુરુષ જવાનોએ ફૂલહાર અર્પણ કરીને સુત્રોચાર કર્યા હતા. ત્યારબાદ માનસિક દિવ્યાંગોની સંસ્થામાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ અંગે ઇન્ચાર્જ કમાન્ડન્ટ પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે, હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીએ આજે સાબરકાંઠા જિલ્લામાં હિમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, કુકડીયા, ઇડર, ઉમેદગઢ, ચિઠોડા, જાદર, લાંબડીયા, વડાલી, વિજયનગર, આંતરસુબા, પોશીના સહીત હોમગાર્ડના 17 યુનિટ છે. જેમાં 1595 હોમગાર્ડ જવાનો છે. જેમાં 132 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ 17 યુનિટમાં સ્થાપના દિવસની ઉજવણીએ રેલી, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા જાગૃતિ અભિયાન સહીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.