સિદ્ધપુર ના ગણેશપુરા ગામે રથ પહોંચ્યો : ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો
દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતિ અને લાભો પહોંચાડવા દેશભરમાં ૧૫મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધો હતો. જેમાં સ્થળ પર જ કુલ 22 જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત સ્થળ પર કુલ 168 વ્યક્તિઓના વ્યક્તિઓની આરોગ્ય કેમ્પમાં તપાસ કરવામાં આવી હતી અને કુલ 243 ટીબી રોગના દર્દીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આજે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો ગણેશપુરા ગામમાં કુલ 270 લોકો એ લાભ લીધો હતો. આ પ્રસંગે મહિલા મોરચા ઉપ-પ્રમુખ કલાવતીબેન પટેલ, જીલ્લા રોજગાર અધિકારી એચ એમ ગઢવી, ટીડીઓશ્રી, ટી.એચ.ઓ , તેમજ વિવિધ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.