![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/20-18.jpg)
દાંતાના કુંવારસી ગામે રાજ્ય મંત્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાના લાભ અર્પણ કરાયા
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં દાંતા તાલુકાના કુંવારસી ગામે રથનું આગમન અને સ્વાગત સમારંભ યોજાયો હતો. જે અન્વયે સહકાર મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ દાંતા તાલુકામાં ફરી રહ્યો છે. જે આજે કુંવારસી ગામે આવી પહોંચતાં સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, ભારતનો કોઈપણ નાગરિક ભૂખ્યો ન સુએ એની ચિંતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ લાખો કરોડો લોકોને અન્ન આપ્યું છે. પૈસાના અભાવે કોઈની બીમારીની સારવાર ન અટકે એ માટે આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય સુરક્ષા આપી છે. જેના લીધે દસ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે થઈ શકે છે.
મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કહ્યું કે, માતા બહેનો ધુમાડા મુક્ત રસોઈ કરી શકે એ માટે પ્રધાનમંત્રીએ ઉજ્જ્વલા યોજના શરૂ કરી મહિલાઓને રાંધણ ગેસની સુવિધા આપી છે. તો ઘેર ઘેર શૌચાલય બનાવી માતા બહેનોને સન્માન આપવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે. કિસાન સન્માન નિધિ જેવી યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં છ હજાર આપી ખેડૂતોને આત્મસન્માન આપવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે.તેમણે વધુમાં જણાવ્યું કે, આવી અનેક યોજનાઓનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારના લોકોને મળે એ ઉદ્દેશ્ય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ આવ્યો છે. મંત્રીએ લોકોની વચ્ચે જઇ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મંત્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ અપાયા હતા. ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ સરકારની યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ યોજનાના લાભથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન અને બદલાવની સફળવાર્તાઓ રજૂ કરી હતી.કાર્યક્રમ અંતર્ગત ઉજ્જ્વલા યોજનાના 24 લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ હતી. ટી.બી.ના 74 દર્દીઓ, સિકલસેલ એનીમિયાના 17 દર્દીઓનું સ્ક્રીનિગ કરવામાં આવ્યું હતું. જ્યારે 37 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હસ્તે થયેલા જનઔષધી કેન્દ્રોના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રીનો સંદેશ અને ઓપનિંગ મુવી ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી.