![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/3_1600409277.gif)
બિહારથી ગુજરાતમાં બાળમજૂરો લાવવામાં આવતા, CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં
કોરોનાના કપરા કાળમાં પણ બાળઅધિકારોનું હનન કરીને ચાઈલ્ડ ટ્રાફિકિંગ કરાઈ રહ્યું છે. બિહારથી ગુજરાતમાં મોટે પાયે બાળકોને બાળમજૂરી માટે લાવવામાં આવતાં હોવાની માહિતી મળતાં ગુજરાતની CID ક્રાઈમે વિવિધ NGO સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે. બિહારથી ટ્રેનમાં લાવવામાં આવેલાં 32 બાળકોને છોડાવવામાં આવ્યાં છે. CID ક્રાઈમે હ્યુમન ટ્રાફિકિંગનો વિવિધ NGO સાથે મળીને પર્દાફાશ કર્યો છે.
લોકડાઉન અને કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મજૂરોની અછત સર્જાય છે, જેને કારણે નાનાં બાળકોને મજૂરી અર્થે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં હોવાનું એક એનજીઓ અને સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્યું હતું. સીઆઇડી ક્રાઈમને માહિતી મળી હતી કે અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે, જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGOઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડ્યું હતું.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તારણ છે. બાળકોને હાલ કાલુપુર પોલીસ સ્ટેશને લઈ જવાયાં છે. આ ઘટનામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ગુનો દાખલ કરવામાં આવી શકે છે.
9 મહિના પહેલાં 2019ના ડિસેમ્બરના અંતમાં રાજસ્થાન પોલીસે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સ્થાનિક પોલીસ તથા એક NGOના 80થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતાં 134 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં.