સફળ ઓપરેશન, ટનલમાંથી તમામ મજૂરોને બહાર કઢાયા
ઉત્તરકાશીમાં દિવાળીના દિવસે થયેલી ટનલ દુર્ઘટનામાં આજે બચાવ ટીમને મોટી સફળતા મળી છે. 17માં દિવસે આખરે રેસ્ક્યુ ટીમ કામદારો પાસે પહોંચી. રેસ્ક્યુ ટીમે એક પછી એક તમામ કામદારોને ટનલમાંથી બહાર કાઢ્યા. વિવિધ રાજ્યોના કુલ 41 મજૂરો ટનલની અંદર ફસાયા હતા. બહાર આવતાની સાથે જ કામદારોએ રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો હતો.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગ્યો છે. તમામ 41 શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. NDRF-SDRF, ઉત્તરારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પાર પડાઈ છે. શ્રમિકોના બહાર આવવાની શરૂઆત થતાં જ સૌકોઈમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. શ્રમિકો બહાર આવવાની સાથે જ તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટનલ પાસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત) સહિતના નેતાઓ શ્રમિકોનું સ્વાગત કર્યું હતું. તમામ શ્રમિકોને અહીંથી હોસ્પિટલ ખસેડાયા છે, ત્યાં આરોગ્યને લઈ તેમની દેખરેખ રાખવામાં આવશે.