![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/10-20.jpg)
પાટણ શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી પરિવારનો દીપાવલીના પર્વ બાદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી પરીવારમાં કુલ 240 જેટલા પરીવારો જોડાયેલા છે જેમાંથી 80 થી વધુ પરીવારોની હાજરીમાં પાટણનાં 800 થી વધુ વર્ષોથી પ્રાચીન ફુલણીયા હનુમાનજી દાદાના મંદિર સંકુલમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં હનુમાનદાદાની સેવા પૂજા-પ્રાર્થના કરી સૌએ ચા-નાસ્તો કરી વિવિધ રમતોનો આનંદ માણ્યો હતો. જેનું સંચાલન પૂર્ણિમાબેન મોદી, જયમાલાબેન પંચાલ, જયશ્રી સોમપુરા તથા જ્યોતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કમલેશભાઈ સ્વામી, હરેશભાઈ નાથ, ચેતનભાઈ નાયક દ્વારા ગીત- સંગીતની મહેફીલ જમાવવામાં આવી હતી. સાથે સાથે પરિવારની દીકરીઓ દ્વારા ડાન્સ, ગીત, શિવતાંડવ ગાન, મીમીકી વગેરે સુંદર રીતે રજુ કરી ઉપસ્થિત વડીલોના આર્શીવાદ તથા દાદ મેળવી હતી. કોઈપણ જાતના ઉચાટ વગર સૌએ એકબીજાના સ્થાન ઉપર વ્યવસ્થિત ગોઠવાઈ કાર્યક્રમને માણ્યો હતો.
લાઈબ્રેરીના પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા દ્વારા તમામ પરિવારના સભ્યોનું હાર્દિક સ્વાગત કરી ગત વર્ષે થયેલા કાર્યક્રમોની માહિતી આપી હતી. તમામ કારોબારી સભ્યો, મને જાણોના સભ્યો, દાતાઓ વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે અશોકભાઈ વ્યાસ, જયોતિન્દ્રભાઈ ભટ્ટ તથા જયેશભાઈ વ્યાસ દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરી લાઈબ્રેરીની પ્રવૃત્તિઓને બીરદાવવામાં આવી હતી. આભારવિધી મંત્રી મહાસુખલાલ મોદીએ કરી હતી.