![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/18-14.jpg)
યાત્રાધામ શામળાજીમાં મનોરથના યજમાન અને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજાઈ
યાત્રાધામ શામળાજીમાં કારતક સુદ અગિયારસને 23 તારીખના રોજ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય તુલસી વિવાહ મનોરથની ઉજવણીનું આયોજન કરાયું છે. ઠાકોરજીનો ભવ્ય ઢોલ નગારા હાથી ઘોડાની બગી સાથે વરઘોડો યોજાશે. વૈદિક મંત્રો સાથે ભગવાન વિષ્ણુ અને તુલસીજીના લગ્ન યોજાશે. ચાલુ વર્ષે સુરત નડિયાદ અને અમદાવાદના યજમાનો દ્વારા તુલસી વિવાહનો મનોરથ ઉજવાશે.દૂર-દૂરથી અબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તો મોટી સંખ્યા શામળિયાના દર્શન માટે ઉમટી પડશે. ભગવાનની શોભાયાત્રામાં હેલિકોપટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે. હજારો ભક્તો 23 નવેમ્બરના રોજ મિષ્ટાન્ન સાથે ભોજન પ્રસાદનો પણ લાભ લેશે. આમ યાત્રાધામ શામળાજીમાં 23 નવેમ્બરના રોજ ભવ્ય તુલસી વિવાહનો મનોરથ ઉજવવામાં આવશે.
અગાઉ દિવસે શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે આવેલા શ્યામ બંગલો ખાતે ભગવાનની કંકોતરી લખશે અને ગણેશ ગ્રહશાંતિ થશે. એ જ દિવસે રાત્રે મંદિર પરિસરમાં ખ્યાતનામ કલાકારો દ્વારા રાસ ગરબા યોજાશે. બીજા દિવસે સવારે વિષ્ણુ મંદિરમાં ભગવાનની રાજોપચારી પૂજા થશે અને બપોરે ઠાકોરજીને શ્યામ બંગલો ખાતે લઈ જવાશે અને ત્યાં ભગવાનનું રૂડું મામેરું ભરાશે. મામેરાના અમદાવાદના કશ્યપ ભટ્ટ અને ઉર્વી ભટ્ટ યજમાન છે. જ્યારે કન્યા પક્ષ એટલે કે( વૃંદા )ના યજમાન તરીકે સુરતના ડીમ્પલ કુમાર અને મીનાક્ષીબેન ઝરીવાલા અને વર પક્ષ એટલે કે ( કૃષ્ણ )ના યજમાન રવિ ઝરીવાલા અને ફાલ્ગુની ઝરીવાલા છે.આ યજમાનો દ્વારા સાંજે 4 કલાકે ભગવાનનો ભવ્ય વાજતે ગાજતે વરઘોડો નીકળશે. વરઘોડામાં કલાત્મક ઘોડા સાથેની બગી બેન્ડવાજા, પતાકા સહિત વર અને કન્યા પક્ષ તેમજ મોસાળ પક્ષના મોટી સંખ્યામાં વરઘોડામાં રાજવાડી સાફા સાથે જોડાશે. આ વરઘોડો મંદિર પરિસર પહોંચશે અને બરાબર 6 કલાકે ચારે વેદના પંડિતો દ્વારા વૈદિક મંત્ર દ્વારા ભગવાનના લગ્ન શરૂ થશે. લગ્નમાં લગ્નગીતો, મંગળ ગીતો પણ ગવાશે અને આ મનોરથમાં ઉપસ્થિત તમામ હરિભક્તોને યજમાન દ્વારા ભોજન પ્રસાદ પણ પીરસવામાં આવશે. આમ ભવ્યાતિભવ્ય રીતે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના તુલસી વિવાહ સંપન્ન થશે