વિસનગરમાં મહેસાણા રોડ પર આવેલી સોસાયટીના બંધ મકાનમાં ચોરી
વિસનગરમાં તહેવારોમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો હતો. જેમાં વિસનગર શહેરમાં મહેસાણા ચોકડી પર આવેલ રિધ્ધિ સિધ્ધી સોસાયટીમાં બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તિજોરીનું લોક તોડી તિજોરીમાં પડેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ 6.18 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી બનાવ અંગે મકાન માલિકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણા રોડ ઉપર આવેલા રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં રહેતા અડવાણી હરેશકુમાર માધુભાઇ તેમના પત્ની પૂજાબેન અને દિકરા યશ સાથે ગતરોજ તેમનું મકાન બંધ કરી વડોદરા રહેતી તેમની સાળીના ઘરે જવા નીકળ્યા હતા. જ્યાં 14થી 17 નવેમ્બર દરમિયાન રાત્રે અજાણ્યા ચોર શખ્સોએ તેમના મકાનના દરવાજા ઉપર લગાવેલા લોખંડની જાળીનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં ઘરમાં રહેલી લોખંડની તિજોરીનું લોક તોડી દોઢ તોલાની સોનાની ચેઇન, સોનાનું મંગલસુત્ર દોઢ તોલાનું, સોનાની ત્રણ વીંટી, સોનાનું બ્રેસલેટ, 4 નંગ સોનાની બુટ્ટી, 4 નંગ સોનાની લગડી, ચાંદીના સિક્કા તેમજ રોકડ 1.15 લાખ મળી કુલ 6,18,000ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
17 નવેમ્બરની વહેલી સવારે હરેશભાઇ અમદાવાદથી ઘરે આવવા નીકળ્યા હતા. તે દરમિયાન તેમના મકાનનો દરવાજો ખુલ્લો હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક વિસનગર દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં ઘરમાં માલ સામાન વેરણ છેરણ અને તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. સોના-ચાંદીના દાગીના અને રોકડ ન જણાતાં ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવ અંગે હરેશભાઇની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.