સરદાર સરોવર ડેમ ગણતરીના કલાકોમાં છલોછલ ભરાશે, સપાટી 137.99 મીટરે પહોંચી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઇ જવાની તૈયારીમાં છે. નર્મદા ડેમની સપાટી હાલ 137.99 મીટરે પહોંચી છે અને નર્મદા ડેમને 138 મીટર સુધી ભરવાની મંજૂરી મળેલી છે. જેથી નર્મદા ડેમ હવે ગણતરીના કલાકોમાં છલોછલ ભરાઇ જશે. જેને પગલે નર્મદા ડેમ પર નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય થઇ ગયા છે.
નર્મદા ડેમની સપાટી સર્વોચ્ચ સપાટી 138.68 મીટર છે. જોકે 138 મીટર સુધી ડેમને ભરવાની મંજૂરી મળી છે. જેથી આગામી 2 દિવસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ડેમના વધામણા કરશે તેવી શક્યતા છે.
આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીની નજીક પહોંચી ગયો છે, ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ 55,213 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે રિવર બેડ પાવર હાઉસના 6 યુનિટ સતત કાર્યરત છે અને 54,701 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. મુખ્ય કેનાલમાં 13,500 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં 5935 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ છે. આવનારા બે વર્ષ માટે નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખુટે નહીં તેટલો સંગ્રહિત પાણીનો જથ્થો છે.
આ વર્ષે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પુષ્કળ જથ્થામાં પાણી આવતા ડેમનું લેવલ 132 મીટરનું જાળવી રાખવાની મર્યાદા વધારીને ડેમ પૂર્ણકક્ષા સુધી ભરવાની મંજૂરી મળી હતી. જેને કારણે ડેમ પૂર્ણ કક્ષા એટલે કે, 138 મીટર સુધી સપ્ટેમ્બરમાં ભરવામાં આવશે.