સલ્લા ગ્રામ પંચાયતમાં નવા તલાટીની નિમણૂક ન કરાતા લોકો ત્રાહિમામ
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની સલ્લા ગ્રામ પંચાયતના તલાટીની અન્ય જગ્યાએ ટ્રાન્સફર થતાં તેની જગ્યાએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી ગામલોકોની માંગ ઉઠી છે.
સલ્લા ગ્રામ પંચાયતમાં તલાટીની નિમણુંક કરવા ગામના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા અને તાલુકા વિકાસ અધિકારી ને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની રાવ ઉઠી છે. જ્યારે ગામ લોકોને સરકારી કામકાજ માટે ઉતારા અથવા ગ્રામ પંચાયત ના દાખલામાં તલાટીના સહી સિક્કા કરાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ગામલોકો દ્વારા સરકારી કામકાજ માટે ના કાગળ માટે અનેક ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે.
જેથી તાત્કાલિક ધોરણે તાત્કાલિક અન્ય તલાટીને ચાર્જ સોંપવામાં આવે અથવા તો અન્ય તલાટીની નિમણુંક કરવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલીનો અંત આવે. જ્યારે ગામ લોકોની માંગ છે કે, વહેલા તે પહેલા ધોરણે જિલ્લા વિકાસ અધિકારી અને પાલનપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા નવા તલાટીની નિમણૂક કરવામાં નહિ આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.