મહેસાણામાં આગ કે અકસ્માતની ઘટના બને તો તાત્કાલીક પહોંચી વળવા ફાયર ટીમો તૈનાત રહેશે
મહેસાણા શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ગાહકોની ખરીદી માટે ઘસારો શરૂ થવા લાગ્યો છે. જેને લઈ ટ્રાફિક પણ વધી રહ્યો છે. ત્યારે આકસ્મિક આગ કે અકસ્માતના બનાવ વખતે તાત્કાલિક રિસ્પોન્સ માટે શહેરના ત્રણ વિસ્તારમાં આજથી 13 નવેમ્બર સુધી ફાયર સેફટીના વાહનો સાથે નગરપાલિકાની ફાયર ટીમ 24 કલાક કાર્યરત રહેશે. આ માટે શિફ્ટ વાઇસ ફરજ ફાળવવામાં આવી છે.દિવાળીના તહેવારોને ધ્યાને લઇ જો કોઈ આકસ્મિક આગ સહિતની ઘટના બને તો તાત્કાલિક પહોંચી શકાય તે માટે મહેસાણા શહેરના મુખ્ય ત્રણ લોકેશન રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી અને તોરણવાડી બજારમાં ફાયર ટેન્ડર પાણી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.
આ દરેક સ્થળે ડ્રાઇવર અને 5 ફાયરમેનોની ટીમ સિફ્ટ વાઇસ 24 કલાક તૈનાત રહેશે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં ટ્રાફિકના કારણે ફાયર સ્ટેશનથી બનાવ સ્થળે પહોંચવામા સમય લાગી શકે છે. ત્યારે ઝડપી બનાવ સ્થળે પહોંચી શકાય તે માંટે શહેરના મુખ્ય ત્રણ સ્થળે ફાયર સુવિધા આજથી જ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.