![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/a8fc1f99-0e0e-4273-8259-9637879994f2.jpg)
ડીસામાં એક રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા, રોકડ અને દાગીનાની ચોરી
કોરોના મહામારીના કારણે ધંધા- રોજગાર ઠપ્પ થયા છે.જેના પગલે આર્થિક મંદીથી અનેક લોકો બેકાર બન્યા છે આવા કપરા સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ચૂક્યું છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ તસ્કરો બેફામ બની એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે જેમાં રવિવારે એક જ રાતમાં તસ્કરોએ ડીસાના વિવિધ વિસ્તારમાં ત્રણ મકાનોને નિશાન બનાવી દાગીના સહિત રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ડીસામાં રવિવારે ત્રણ સ્થળે તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ સહિત દાગીનાની ચોરી કરી હતી જેમાં શહેરના સોમનાથ ટાઉનશીપ નજીક રહેતા ચન્દ્રકાન્તભાઈ પુનમચંદ પટેલ બહારગામ ગયા હોઇ તેમના બન્ધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ચોરી કરી હતી પરંતુ મકાન માલિક હાજર ન હોઈ કેટલી ચોરી થઈ ? તે જાણી શકાયું નથી આ ઉપરાંત રેલવેસ્ટેશન વિસ્તાર નજીક આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા નટવરજી વદનજી ઠાકોરના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કર્યો હતો જેમાં તસ્કરોએ ૪૦ હજાર રૂપિયા રોકડા, સોનાની વીંટી, દોરો અને બેબીના પાંચ દાગીના ચોરી લીધા હતા તેમજ ઘરમાં પડેલ દસ્તાવેજોની પણ ચોરી કરતા અનેક તર્કવિતર્ક સર્જ્યા હતા
આ ઉપરાંત શુભમ પાર્ટી પ્લોટ નજીક આવેલ શ્રીનિવાસ સોસાયટીના એક બંઘ મકાનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા જેમાં મકાન માલિક તેમના પિતાનું અવસાન થતાં સામાજિક કામ અર્થે ૧૦ દિવસથી બહાર ગયા હોઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો જેમાં ૨૦ હજાર રોકડા અને દાગીના સહીત સવા લાખના મુદામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા તસ્કરોના આ તરખાટ મામલે દક્ષિણ પોલીસની ટિમ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.