ઊંઝામાં ભાજપના દિગજ નેતાને કોર્ટે જેલની સજા ફટકારતા જિલ્લા પ્રમુખ દ્વારા રાજીનામું લેવાયું
ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં ભાજપના દિગજ નેતાને થોડાક સમય પહેલા કોર્ટે જેલની સજા ફટકારી હતી. જેને પગલે ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા આ નેતા પાસેથી રાજીનામું લઈ લેવાયું છે.ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ એલ એમ પટેલ પાસેથી રાજીનામું લઈ લેવાયું હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, તાલુકા ભાજપ પ્રમુખ એલ એમ પટેલને આર્થિક વ્યવહારોની બાબતમાં કોર્ટે જેલની સજા ફટકારી છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તાલુકા પ્રમુખ એલ એમ પટેલને પદ પરથી હટાવાયા છે અને તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
જો કે હવે ઊંઝા ભાજપ તાલુકા પ્રમુખ તરીકે ભાજપ દ્વારા કોને નિયુક્ત કરવામાં આવશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ જાગી છે. જોકે ભાજપના કેટલાક લોકોએ પોતાનું લોબીંગ પણ શરૂ કરી દીધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખના આર્થિક વ્યવહારોને લઈને અગાઉ પણ તમાશો થયો હતો. પરંતુ ભાજપના દિગજ નેતાના ચાર હાથ હોવાને કારણે તેમનો કોઈ વાળ વાંકો કરી શક્યું ન હતું. પરંતુ કોર્ટે સજા ફટકારતા છેવટે ના છૂટકે જિલ્લા ભાજપ પ્રમુખ એ તેમની પાસેથી રાજીનામું લઈ લેવાનો વારો આવ્યો છે.