![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/IMG-20200912-WA0115.jpg)
થરાદ પંથકમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકને નુકશાન
રખેવાળ ન્યુઝ થરાદ : ચાલું વર્ષે વરસી રહેલા સતત વરસાદના લીધે થરાદ પંથકમાં ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકશાન થયું છે. જેમાં ખરિફ પાકમાં ખેડૂતોને સૌથી વધુ આશા હતી તેવા તલ,બાજરી,કપાસ અને ગવારના પાકમાં સૌથી વધારે અસર થવા પામી છે.
ડોડગામના ખેડૂત નરબતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અનેક ખેડૂતોએ પોતાના ઉભા પાકમાં રોટોવેટર પણ ચલાવવું પડયું છે. તો બાજરીનો પાક પણ સતત વરસાદના કારણે બગડી ગયો છે. કપાસમાં પણ રોગ આવવાથી વ્યાપક બગાડ થવા પામ્યો છે. આથી ખેડૂતને પડ્યા પર પાટું વાગવા જેવો ઘાટ સર્જાવા પામ્યો છે.
એકબાજુ ખેડૂતોને ગઈ સાલના પાક નુકશાનના પૈસા પણ હજી સુધી મળ્યા નથી. અને ચાલું સાલે પણ પાક નિષ્ફળ ગયો છે. સતત પડેલા વરસાદના કારણે થરાદ તાલુકાના ગામડાઓમાં બહુ મોટું નુકશાન થયું છે. જેમાં ડોડગામ, નાગલા, જાદલા, ખાનપુર, નાનીપાવડ વગેરે ગામડાઓમાં વધુ નુકશાન થતાં અનેક ખેડૂતને તો અત્યારે ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ છે. આથી ખેડૂતની હાલત બહુ કફોડી ગઈ છે. ખેડૂત પાસે જે થોડીઘણી મૂડી હતી તે બધી બિયારણ ખાતર દવા અને ખેડ કરવામાં વાપરી નાખી છે. અને સામે આવક થઈ નથી. ખરિફ સિઝનની આશા ઠગારી નિવડતાં હવે સિયાળું સિઝન માટે ખેડૂતને ફાફા મારવાનો વારો આવ્યો છે. આથી સરકાર દ્વારા સત્વરે સર્વે કરી ગઈ સાલની બાકી રકમ સાથે રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.