દિલ્હી પોલીસની ચાર્જશીટમાં સીતારામ યેચુરી અને યોગેન્દ્ર યાદવ સહિત 5 લોકોના નામ, હુલ્લડનું કાવતરું ઘડવાનો આરોપ
દિલ્હીમાં થયેલા હુલ્લડ મામલે પોલીસે સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતી ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ અને ડોક્યૂમેન્ટરી ફિલ્મમેકર રાહુલ રોયને પણ આરોપી બનાવ્યા છે. દિલ્હી પોલીસે તોફાન સાથે જોડાયેલી એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં તેમને કાવતરાના સાથીદારો માન્યા છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, દિલ્હી તોફાનના આરોપી દેવાંગના કલિતા, નતાશા નરવાલ અને ગુલફિશા ફાતિમાએ તેમના નિવેદનમાં યોગેન્દ્ર, જયતી, અપૂર્વાનંદ અને રાહુલ રોયના નામ લીધા છે. આ નિવેદન જાફરાબાદ હિંસા મામલે લેવામાં આવ્યાં હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જાફરાબાદથી તોફાનની શરૂઆત થઈ હતી. આ ત્રણેય પર ગેરકાનૂની ગતિવિધિઓ અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ગુલફિશા ફાતિમાએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, ભીડ કાવતરા મુજબ વધવા લાગી હતી. ઉમર ખાલિદ, ચંદ્ર શેખર રાવણ, યોગેન્દ્ર યાદવ, સીતારામ યેચુરી અને વકીલ મહમૂદ પ્રાચા સહિતના લોકો ભીડને ભડકાવવા માટે અને ભીડ ભેગી કરવા માટે પહોંચ્યા હતા.
ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે, ત્રણેય લોકોએ જણાવ્યું છે કે, ‘પ્રાચાએ કહ્યું છે કે પ્રદર્શન કરવું તમારો લોકતાંત્રિક અધિકાર છે. બાકી નેતાઓએ સીએએ અને એનઆરસીને મુસ્લિમ વિરોધી કહી સમુદાયમાં અસંતોષની ભાવનાને વેગ આપ્યો હતો.’
સીતારામ યેચુરીને આરોપી બનાવતા તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે શનિવારે સાંજે 6 ટ્વીટ કર્યા હતા. તેમણે કહ્યુંસ ઝેરીલા ભાષણોના વીડિયો છે, તેની પર કાર્યવાહી કેમ નથી થતી. દિલ્હી પોલીસ ભાજપના કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય નીચે કામ કરે છે. તેની આ ગેરકાનૂની કાર્યવાહી ભાજપના ઇશારે કામ કરતી હોવાનું જણાવી રહી છે. તેઓ વિપક્ષના સવાલ અને શાંતિપૂર્ણ પ્રદર્શનથી ડરે છે અને સત્તાનો દુરુપયોગ કરી અમને રોકવા માગે છે.
સીએએના વિરોધ પ્રદર્શન વચ્ચે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 24 ફેબ્રુઆરીએ તોફાનો થયા હતા. જેમાં 53 લોકોના મોત થયા હતા અને 200થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે 751 એફઆઈઆર નોંધી છે.