થરાદના પીલુડા, ગડસીસર ગૌશાળાની ગાયોને છોડીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદમાં શુક્રવારે બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશનના સંચાલકોએ એકઠા થઈને આવેદનપત્ર સાથે શનિવારથી તાલુકામાં ગૌ માતાઓને રસ્તા પર છોડી મૂકવાની ચીમકી ઉચ્ચારી હતી.
તે મુજબ થરાદ વાવ તાલુકાની કેટલી ગૌશાળાની ગાય માતાઓને શનિવારે હાઇવે પર છોડીને ચક્કાજામ પણ કરાયો હતો. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઢીમાના મહામંડલેશ્વરશ્રી એ ઉગ્ર લડતની ચીમકી પણ ઉચ્ચારી હતી.
શનિવારે થરાદ તાલુકાના પિલુડા ગામે આવેલી શ્રીશક્તિ ગૌશાળાની ગાયોને સરકાર વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સાંચોર-થરાદ હાઇવે ઉપર છુટી મૂકીને વિરોધ કરાયો હતો. થરાદ તાલુકાના ગડસીસર અને વાવના ઢીમામાં પણ ગૌ માતાઓને છૂટી મુકી દેવામાં આવી હતી. થરાદ-સાંચોર હાઇવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગાયો છોડવાના કારણે અનેક વાહનચાલકોને ભારે મુશ્કેલી ઓનો સામનો કરવો પડ્યો હતો.
આ અંગે ઢીમાના શ્રી રામાસરા અન્નક્ષેત્રના મહંત પૂજ્ય શ્રી જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે જો સરકાર અમારી માંગણીઓને ધ્યાને નહિ લે તો આવી જ રીતે અલગ અલગ ગૌશાળાની ગાયોને રોડ ઉપર છૂટી મૂકી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે સરકારની અબોલ પશુઓ પ્રત્યેની અસંવેદનશીલ વૃત્તિના લીધે પશુઓના જીવ ખોરાક વગર જોખમમાં મુકાયા છે. આથી ગૌ વંશ-અને પશુ પ્રેમીઓની લાગણીને પણ ઠેસ પહોંચી છે. આ અંગે થરાદમાં શુક્રવારે જિલ્લાની તમામ ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ સહાયની માંગણી કરી ગાયોને છોડવાની ચીમકીવાળું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તે મુજબ સંચાલકોએ ગાયોને છૂટી પણ મૂકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે આ બહેરી સરકાર આ રજુઆતોને ધ્યાનમાં લે છે કે પછી આંખ આડા કાન કરી દે છે તે જોવાનું રહ્યું તેમ જીવદયા પ્રેમીઓએ આક્રોશ સાથે જણાવ્યુ હતુ.