![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/pm111599889604_1599896629.jpg)
મોદીએ મધ્યપ્રદેશના 1.75 લાખ પરિવારોનો ગૃહપ્રવેશ કરાવડાવ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડિયો-કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશમાં વડા પ્રધાન ગ્રામીણ આવાસ યોજના હેઠળ બનાવાયેલાં 1.75 લાખ ઘરોનું ઉદ્ધઘાટન કર્યું છે. આ યોજના હેઠળ ઘર મેળવનારામાંથી ત્રણ લોકો સાથે મોદીએ વાત પણ કરી છે, જેમાં ધાર જિલ્લાના સરદારપુર ગામના ગુલાબ સિંહ, સિંગરૌલી જિલ્લાના પ્યારેલાલ યાદવ અને ગ્વાલિયર જિલ્લાના નરેન્દ્ર નામદેવ સામેલ છે.
મોદીએ કહ્યું, વડા પ્રધાન આવાસ યોજના હેઠળ એક ઘર બનાવવામાં સરેરાશ 125 દિવસ લાગે છે, પણ કોરોનાના સમયમાં આ યોજના હેઠળ ઘરોને માત્ર 45થી 60 દિવસમાં તૈયાર કરવામાં આવ્યાં છે. આપદાને અવસરમાં બદલવાનું આ સૌથી સારું ઉદાહરણ છે. કોરોનાકાળમાં તમામ અટકળો વચ્ચે દેશભરમાં 18 લાખ ઘરોનું કામ પૂરું કરવામાં આવ્યું છે.
વડા પ્રધાને ઘર મેળવનારા લોકોને કહ્યું, આ વખતે આ સૌની દિવાળી અને અન્ય તહેવારની ખુશી અલગ જ હશે. કોરોનાકાળ ન હોત તો આજે આ તમારા જીવનની સૌથી મોટી ખુશીમાં સામેલ થવા માટે તમારા ઘરનો એક સભ્ય, તમારો પ્રધાનસેવક આજે તમારી વચ્ચે હોત. આજનો કાર્યક્રમ મધ્યપ્રદેશ સહિત દેશના તમામ ઘરવિહોણા સાથીઓને એક વિશ્વાસ આપનારી ક્ષણ છે. જેમનું અત્યારસુધી કોઈ ઘર નથી, એક દિવસ તેમનું પણ ઘર બનશે. તેમનું પણ સપનું પૂરું થશે.
આ યોજના હેઠળ 12 હજાર ગામમાં ઘર તૈયાર કરવામાં આવ્યાં છે. વડા પ્રધાને 2022 સુધી તમામ પરિવારને તેમનું પોતાનું ઘર હોય એવું લક્ષ્ય રાખ્યું છે. સરકારને આશા છે કે માર્ચ 2022 સુધી 2 કરોડ ઘર બનીને તૈયાર થઈ જશે.
ભાજપ 17 સપ્ટેમ્બરે મોદીના 70મા જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઊજવાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસે ગરીબોની યોજનાઓ બંધ કરી દીધી હતી. અને તેમનાં 2 લાખ 43 હજાર ઘરને નામંજૂર કરીને તેમનાં માથા પરથી છત છીનવી લીધી હતી. હવે તેમને પાક્કાં ઘરનું સુખ મળશે.
Tags Banaskantha corona Deesa Gujarat india