સિદ્ધપુરમાં વિજયાદશમીએ પતંગોત્સવની પરંપરા વિસરાઈ
સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં વર્ષો જુની દશેરાના પર્વે પતંગો ઉડાવી પતંગોત્સવ મનાવવાની પરંપરા હવે ધીમે ધીમે વિસરાઈ ગઈ છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી હવે સિદ્ધપુરવાસીઓ દશેરાના દિવસે પતંગો ઉડાવતા નથી. સિદ્ધપુરવાસીઓ ઉત્તરાયણ પર્વે રાજા સિદ્ધરાજ જયસિંહના અવસાનનો શોક રાખીને પતંગોત્સવ ન હોતા મનાવતા જેથી ઉત્તરાયણના દિવસે તો સિદ્ધપુરનું આકાશ સુમસામ રહેતું જ હતું પરંતુ હવે દશેરાએ પણ પતંગ ન ચગતાં કયા દિવસે પતંગોત્સવ મનાવવો તેની વિસામણ વચ્ચે સિદ્ધપુરવાસીઓએ પતંગોત્સવનો પર્વ પૂરી રીતે ગુમાવી દીધો હોય તેવો ઘાટ ઘડાયો છે.
સિદ્ધપુરના પગીવાસ,ગઢવાડ , નવાવાસ , ભીલવાસ , પટણીવાસ જેવા વિસ્તારોમાં માંડ 2 થી 3 ધાબા ઉપર લોકો પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. ઉત્તરાયણના દિવસે જ્યારે દેશભરના શહેરો અને ગામડાઓમાં પતંગો ઉડતા હોય છે અને લોકો પતંગોત્સવની મજા લૂંટતા હોય છે તે જ દિવસે સિદ્ધપુરવાસીઓ શોક મનાવતા હોવાથી પતંગો ઉડાવતા નથી. આથી પતંગના શોખીનો સંબંધીઓના ઘરે અન્ય શહેરોમાં જતા રહે છે અને પતંગોત્સવ મનાવી આવે છે.