![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/01_1599791657.jpg)
રાજ્યમાં 10 લાખની વસતિએ 1,600થી વધુ કોરોનાગ્રસ્ત, સંક્રમણ ધરાવતા દર્દીઓનું પ્રમાણ 14.7 ટકા
ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા 1,332 કેસ નોંધાતાં કુલ કેસનો આંકડો હવે 1,09,627 થયો છે. એ પૈકી હાલ હોસ્પિટલમાં કે ઘરે કે કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ હોય તેવા એક્ટિવ દર્દીઓની સંખ્યા 16,230 છે. છેલ્લા આઠ જ દિવસના ગાળામાં કોરોનાના કુલ કેસની સંખ્યા દસ હજાર કરતાં વધુ નોંધાઈ છે. ગુજરાતમાં હાલ દસ લાખની વસતિએ 1,614 લોકોમાં કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે. જો કે એ પૈકી હાલ સંક્રમણ ધરાવતા દર્દીઓનું પ્રમાણ 14.7 ટકા છે, એટલે કે અત્યારસુધીમાં કોરોના સંક્રમિત થયેલા 1.09 લાખ કરતાં વધુ લોકોમાંથી 15 ટકાથી પણ ઓછા દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 15 દર્દીઓનાં મોત થયાં છે અને 1,415 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167એ પહોંચ્યો છે, જ્યારે 90,230 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલમાં 16,230 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 દર્દી વેન્ટિલેટર પર અને 16,139 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 6,82,298 લોકો ક્વોરન્ટીન છે. રાજ્યમાં 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ, અત્યારસુધીમાં કુલ 30,73,534 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.