80 નવી ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ, સ્પેશિયલ ટ્રેનો 30 મિનિટમાં ફુલ થઇ, પહેલી વાર શતાબ્દી અને વંદે ભારત ટ્રેનોનું બુકિંગ પણ શરૂ
અનલૉક-4માં 12 સપ્ટે.થી શરૂ થઇ રહેલી નવી 80 ટ્રેન માટે ગુરુવારથી રિઝર્વેશન શરૂ થયું. તેમાંથી લખનઉ, ગોરખપુર અને ભાગલપુરથી મોટાં શહેરો તરફ જતી ટ્રેનોનું રિઝર્વેશન શરૂ થયાની લગભગ 30 મિનિટમાં જ સીટો ભરાઇ ગઇ અને વેઇટિંગ શરૂ થઇ ગયું. અન્ય કેટલીક ટ્રેનોનું પણ ઝડપથી બુકિંગ થયું. લૉકડાઉન બાદ પહેલી વાર વંદે ભારત અને શતાબ્દી ટ્રેનો માટે પણ બુકિંગ શરૂ થઇ ગયું છે.
રેલવે બોર્ડના ચેરમેન વી. કે. યાદવના જણાવ્યાનુસાર શ્રમિકો મોટાં શહેરોમાં પાછા ફરવાનું શરૂ થઇ ગયું છે. તેથી 40 જોડી ટ્રેન મોટા ભાગે એવાં શહેરોથી દોડાવાઇ રહી છે કે જ્યાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ગઇ હતી. મોટા ભાગે નાના શહેરોમાંથી મોટાં શહેરો તરફ જતી (દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ-સિકંદરાબાદ) ટ્રેનોમાં ઘણું બુકિંગ થઇ રહ્યું છે પણ રિટર્નમાં આ ટ્રેનોમાં બુકિંગ ઓછું થઇ રહ્યું છે. શ્રમિકો મોટાં શહેરોમાં પાછા ફરી રહ્યા હોવાથી મોટાં શહેરો માટેની ટ્રેનો ફુલ થઇ રહી છે. આ 80 સ્પેશિયલ ટ્રેનમાંથી સૌથી વધુ 20 ટ્રેન દિલ્હી તરફ જવાની છે. તેમાંથી મોટા ભાગની દિલ્હી સુધી અને કેટલીક દિલ્હી થઇને આગળ જશે. આ રીતે કુલ 310 ટ્રેનનું સંચાલન શરૂ થઇ જશે.
વંદે ભારત અને શતાબ્દી ટ્રેનો હાલ માત્ર 1-1 રૂટ પર દોડાવાશે. વંદે ભારત દિલ્હીથી વારાણસી અને શતાબ્દી દિલ્હીથી લખનઉ વચ્ચે દોડશે. અન્ય સ્પેશિયલ ટ્રેનોની જેમ વંદે ભારત અને શતાબ્દીમાં પણ દિલ્હી તરફ જતી ટ્રેનોમાં વધુ બુકિંગ થઇ રહ્યું છે.