![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/hfigdyugdho.jpg)
બનાસકાંઠામાંહાઇવે પર ગાયો છોડી ચક્કાજામ કર્યુ, સંચાલકોનો જઠરાગ્નિ જાગ્યો
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા-પાંજરાપોળોની હાલત જોતાં સંચાલકોએ આજે ફરી એકવાર ગાયો હાઇવે પર છોડી ચક્કાજામ કર્યુ છે. ભાજપના રાજમાં ગાયોની હાલત જોઇ સંચાલકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે દિયોદર અને માલગઢમાં આજે ફરી એકવાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોએ ગાયોને હાઇવે પર છોડી મુકી હતી. જેને લઇ માલગઢ હાઇવે પર થોડીવાર માટે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. કોરોના મહામારીમાં લોકો તરફથી મળતું દાન અને સરકારી સહાય બંધ થતાં ગૌશાળ-સંચાલકોએ અનેકવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ નહિ આવતાં આજે ગાયોને ફરી એકવાર ગૌશાળામાંથી છોડી મુકવામાં આવી હતી.
બનાસકાંઠા જીલ્લાના દિયોદર પંથકના ખોડાઢોર પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાયોને ગૌશાળામાંથી છોડી મુકવામાં આવતાં હવે આ આંદોલન ઉગ્ર બન્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. અગાઉ સરકારી સહાયને લઇ કેટલીય વાર રજૂઆત કરવા છતાં પણ સરકાર તરફથી યોગ્ય ઉકેલ નહિ આવતાં સંચાલક મંડળોએ આજે ગાયોને ખુલ્લી છોડી મુકી દીધી છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, માલગઢની રામબાપુ કૈલાસધામ ગૌશાળાની ગાયોને પણ આજે છોડી મુકાઇ હતી. માલગઢ ગૌશાળાની ગાયોને છોડી મુકાતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. ગૌશાળામાંથી અંદાજે 500થી વધારે ગાયો રોડ પર છોડી મુકાતા નેશનલ હાઇવે 27 પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતા. નોંધનિય છે કે, સરકારી સહાય અને દાન બંધ થતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો હવે ભારે આક્રોશની સ્થિતિ વચ્ચે વિરોધ નોંધાવી રહ્યા છે.