સુરતમાં ડ્રેનેજમાં બે મજૂરના ગૂંગળામણથી મોતના મામલે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ
શહેરના નાનપુરા ખાતે ગત રોજ ડ્રેનેજ લાઈનમાં બે પિતરાઈને ઉતર્યા બાદ ગેસની ગૂંગળામણથી મોત થયું હતું. આ ઘટનામાં અઠવા પોલીસે કોન્ટ્રાક્ટર જોગારામ સેન સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લ્ખનિય છે કે, ડ્રેનેજમાં ઉતરેલા બંને મજૂરને સુરક્ષાના કોઈ પણ સાધનો આપવામાં આવ્યા ન હતા. માત્ર ગમ બુટ-ત્રિકમ આપી ડ્રેનેજમાં ઉતારી દીધા હતા.
મુળ દાહોદના આલીખેડાના વતની મોમસિંગ રતનભાઈ અમલીયાર(ઉ.વ.52) અને પિતરાઇ જયેન્દ્ર (ઉ.વ.25) સોમવારે પાણીનો વાલ્વ બંધ કરવા ચેમ્બરમાં ઉતર્યા હતા. નાનપુરામાં ઝીંગા સર્કલ નજીક 350 રૂપિયાની મજૂરી નક્કી કરી ગમ બુટ અને ત્રિકમ આપી પાલિકાના કોન્ટ્રાક્ટરે જૂની સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાં ઉતાર્યા હતા. તેમને ઝેરી ગેસની અસર થતા જ બંને ઢળી પડ્યા હતા. બંનેને બચાવવા મોમસિંગનો પુત્ર અનિલ પણ ચેમ્બરમાં ઘુસ્યો હતો. તેને પણ ગેસની અસર થતી દેખાતા તેના કાકા હેમરાજે ખેંચી લીધો હતો.
સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કમાં ડીસીલ્ટીંગ કરવાનું કામ કોન્ટ્રાક્ટર જોગારામ સેન કંપનીને સોપાયું હતું. સ્થળ પર કંપનીના જગદીશભાઈ હાજર હતા. મજૂરો સેફટી સાધનો ન હોવા છતાં 15 ફૂટ ઊંડા મેનહોલમાં ઉતાર્યા હતા. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર ડીએન બસાકે કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરતા ખબર પડી કે બન્ને કામદારો જાતે જ ઉતરી ગયા હતા. તેમની પાસે સેફટી સાધનો ન હતા.
ઇન્ચાર્જ સીએફઓ બસંત પરિખે જણાવ્યું હતું કે, આવી બંધ ગટરોમાં ઝેરી ગેસ ઉત્પન્ન થતી હોય તે કામદારો માટે જોખમી પુરવાર થાય છે. સીવરેજ લાઇન જો હોય તેમાં ‘ફોસજીન’ અતિ ઝેરી ગેસ બને છે અને મિથેન નામનો પણ ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે. આ પ્રકારના ચેમ્બરમાં ઉતરવા માટે સેફ્ટી માટે ગેસ માસ્ક, ગેસ ડિટેક્ટર, ઓક્સિજન સિલેન્ડર, ટોર્ચવાળુ હેલ્મેટ, કમર બેલ્ટ, દોરી અને ગમ બુટ જેવા સાધનો જરૂરી હોય છે.