ચીની સૈનિક ભારતીય સૈનિકોના લોકેશન નજીક આવી રહ્યા હતા, સેનાએ રોકવાનો પ્રયત્ન કર્યો, ના માન્યા તો ફાયરિંગ કર્યું, પછી ચીની પરત ફર્યા
લદ્દાખમાં પેંગોન્ગ ઝીલના દક્ષિણ કિનારા પર ભારત અને ચીન વચ્ચે ફાયરિંગના સમાચાર આવ્યા છે. ચીની સેનાના વેર્સ્ટન થિયેટર કમાન્ડના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ભારતીય સૈનિકોએ 7 સપ્ટેમ્બરે પેંગોન્ગ ત્સોના દક્ષિણ કિનારા પર LAC ક્રોસ કરીને ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. ચીનનો એવો પણ દાવો છે કે, ભારતીય સેનાએ લાઈન ઓફ કંટ્રોલ (LAC) ક્રોસ કર્યા પછી હવાઈ ફાયર પણ કર્યું હતું.
ચીનના મીડિયા પ્રવક્તાએ કહ્યું કે, જ્યારે ચીનની આર્મીની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો ભારતીય આર્મીએ જવાબમાં વોર્નિંગ શૉટ ફાયર કર્યા. જો કે ભારતીય આર્મીએ આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન નથી આપ્યું.
ચીનના સૈનિકો આગળ વધીને ભારતીય વિસ્તારમાં કબજો કરવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ ભારતીય સેનાની લોકેશનની ઘણાં નજીક આવી ગયા હતા. ભારતીય સેનાએ તેમને પીછે હટ કરવા કહ્યું હતું. વિવાદ વધતા ભારતીય સેનાએ ચેતવણી આપીને હવામાં ફાયર કરવું પડ્યું હતું. આ વિસ્તાર રેચન લાનો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિવાદ દરમિયાન એક-બે નહીં પરંતુ ઘણાં રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. ચીની સૈનિકોએ પણ ફાયર કર્યું હતું. જોકે હજી એ ખુલાસો નથી થઈ શક્યો કે, પહેલાં ચીની સૈનિકોએ ફાયર કર્યું હતું કે ભારતીય જવાનોએ. આ ફાયરિંગ પછી ચીની સૈનિકો તેમના લોકેશન પર પરત ફર્યા હતા અને હાલ સ્થિતિ સામાન્ય છે.
ગલવાનમાં 20 સૈનિકો ગુમાવ્યા પછી અને છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા વિવાદ પછી ભારતીય સેનાએ તેમના રુલ ઓફ એંગેજમેન્ટમાં ફેરફાર કર્યા છે. આપણાં સૈનિકોને ઓર્ડર મળ્યા છે કે, જો સ્થિતિ ખરાબ થવા લાગે અને ચીની સૈનિકો લોકેશન નજીક આવવાનો પ્રયત્ન કરે તો તેઓ ફાયરિંગ કરી શકે છે.
આ પહેલાં 1 સપ્ટેમ્બરે ભારતમાં ચીની એમ્બેસેડરે એક નિવેદન જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે, ભારતીય સૈનિકોએ પેંન્ગોગ સો ઝીલના દક્ષિણ કિનારા પર ફરી LAC ક્રોસ કરી છે. ચીની સેનાના વેર્સ્ટન થિયેટર કમાન્ડના પ્રવક્તા કરનલ ઝાંગ શુઈલીએ પણ એવું કહ્યું છે કે, ભારતે તેમના સૈનિકોને નિયંત્રણમાં રાખવા જોઈએ. તેમના જણાવ્યા પ્રમાણે જ્યારે ચીનના બોર્ડર ગાર્ડ્સે તેમને રોક્યા ત્યારે ભારતીય સૈનિકોએ ગોળી ચલાવી હતી. ત્યારપછી PLAના સૈનિકોએ સ્થિતિ સંભાળવી પડી હતી. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોએ પણ LAC પર ફાયરિંગ થયું હોવાની વાત કહી છે.
બંને દેશોની સીમા પર આ પહેલાં 45 વર્ષ પહેલાં ગોળી ચાલી હતી. 20 ઓક્ટોબર 1975ના રોજ અરુણાચલ પ્રદેશના તુલુંગ લા માં ચીનના આસામ રાઈફલની પેટ્રોલિંગ પાર્ટી પર દગાથી એમ્બુશ લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ભારતના 4 જવાન શહીદ થયા હતા. જ્યારે આ વર્ષે જૂનમાં ગલવાનમાં બંને દેશો વચ્ચે થયેલી ઝપાઝપીમાં 20 સૈનિકો શહીદ થયા હતા. જોકે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝપાઝપી દરમિયાન ચીન અને ભારતના સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો નહતો.