સિદ્ધપુર ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મહાત્મા ગાંધી જયંતિને સમગ્ર દેશમાં “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ 15મી સપ્ટેમ્બર થી 15મી ઓક્ટોબર 2023 સુધી “સ્વચ્છતા હી સેવા” માસનું આયોજન કરવામાં આવ્યું છે. આ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનની પ્રેરણાથી આજરોજ 1 ઓક્ટોબર, 2023ના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને “એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત આજરોજ પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સિદ્ધપુર ખાતે યોજવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં એક કલાક સૌ કોઇએ મળીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે સૌ પ્રથમ ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવીને વંદન કર્યા હતાં. ત્યારબાદ હરરવાલા ટાવર થી જાંપલી પોળ સુધી સાફ-સફાઇ કરીને શ્રમદાન કર્યું હતુ. શ્રમદાનથી ખુશ થઇને મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજરોજ આ મહાશ્રમદાન કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ લોકો જોડાયા છે. પાટણ જિલ્લામાં 4 લાખથી વધું લોકો આ સફાઇ અભિયાનમાં જોડાય એ માટે પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સ્વચ્છતાએ ન માત્ર આજ પુરતી પરંતું રોજિંદા જીવનમાં સફાઇને સ્થાન આપવું જોઈએ.મહાત્મા ગાંધીજીના “સ્વચ્છ ભારત”ના ઉદેશને સાકાર કરવા માટે આયોજીત આજના ‘એક કલાક, એક તારીખ’ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતની સાથે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, આગેવાનો, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.