પિઝા ખાવાના શોખીનો સાવધાન! અમદાવાદ બાદ જામનગરમાં પિઝામાંથી નીકળ્યો મરેલો વંદો
જામનગર શહેરમાં બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાક ની ઘટના સામે આવી છે. ગઈકાલે જામનગરના છાશ વાલા નામની દુકાનમાં આઈસ્ક્રીમ માંથી મૃત જીવાત મળી આવી હતી ત્યારે આજે પટેલ કોલોની પાસે આવેલ યુ.એસ પીઝામાંથી વંદો નીકળતા લોકોમાં ચર્ચા જાગી છે. મનપાની ફુડ શાખા દ્વારા યુએસ પિઝાને પાંચ દિવસ માટે તાળા મારવાનો આદેશ કર્યો છે.
જામનગર શહેરના પટેલ કોલોની પાસે આવેલ નામાંકિત યુએસ પિઝામાં ગયેલા મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની કચેરીમાં સિક્યુરિટી કર્મચારી તરીકે ફરજ બજાવતા અને એક્સ આર્મીમેનના પરિવારે પીઝાના ઓર્ડર કર્યા બાદ પીઝામાં વંદો નજરે પડતાં ચોકી ઉઠ્યા હતા અને મેનેજમેન્ટ ને જાણ કરી હતી.
મેનેજમેન્ટ એ આ બાબતે માફી પણ માંગી લીધી પરંતુ બીજા કોઈ લોકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે એક્સ આર્મી મેને પોતાની જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી સૌપ્રથમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાને જાણ કરી હતી ત્યારબાદ જામનગરની ફૂડ શાખાને આ અંગે જાણ કરી અને ફૂડ શાખા યુએસ પિઝામાં ચેકિંગ માટે પહોંચી હતી.