બનાસકાંઠા ગૌશાળા- પાંજરાપોળ સંચાલકોની ધીરજનો અંત
રખેવાળ ન્યુઝ ડીસા : લોકડાઉન બાદ દાનનો પ્રવાહ બંધ થઈ જતા અને સરકાર પણ સહાય ન ચૂકવતા અબોલ પશુ જીવોને બચાવવા માટે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ આંદોલન છેડયું છે તેમછતાં છેલ્લા ચાર મહિનાથી સરકાર મચક ન આપતા કંટાળીને સંચાલકોએ આંદોલન ઉગ્ર બનાવી સોમવારે પાલનપુર કલેકટર કચેરી ખાતે ધરણાની જાહેરાત કરી છે.
શનિવારે ટેટોડા ગૌશાળા ખાતે સમગ્ર જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની બેઠક યોજાઇ હતી જેમાં સતત ચારેક માસથી ગૌવંશ સહિત અબોલ જીવોને જીવાડવા સહાય માટે સરકારને સતત વિનંતી કરવા છતાં પણ સરકાર દ્વારા સહાય બાબતે વિચારણા કરવાનું જણાવતા નાછૂટકે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ કોઈજ પરિણામ ન મળતા સતત ૧૩ દિવસના આંદોલન છતાં સરકાર ટસની મસ નથી થઈ. જે બાબતને લઈ આજની બેઠક યોજાઈ હતી અને આગામી આંદોલન બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જેમાં આંદોલન ઉગ્ર બનાવવું કે જેથી સરકાર માંગ સ્વીકારે તેવો આજની બેઠકમાં સર્વાનુમતે ર્નિણય લેવાયો હતો જેમાં આવતીકાલે સોમવારથી સમગ્ર જિલ્લાની તમામ ગૌશાળા. અને પાંજરાપોળના સંચાલકો કલેકટર કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.