![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/09/da-2.png)
મોટી દુર્ઘટના ટળી: દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનમાં લાગી ભીષણ આગ, મુશાફરો આબાદ બચાવ
દાહોદના જેકોટ ખાતે ટ્રેનમાં આગનો બનાવ બન્યો છે. દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પહોંચી હતી. ઘટનાની જાણ થતાં દાહોદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ-આણંદ દાહોદ મેમુ ટ્રેન જેકોટ રેલવે સ્ટેશને હતી એ સમયે ટ્રેનોના બીજે છેડે લગાવેલા એન્જિનમાં આગ લાગતા જ ફર્સ્ટ ક્લાસના કોચમાં પણ આગની જ્વાળાઓ પહોંચી જતાં અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો નીકળતા ટ્રેનને રોકી દેવાઈ હતી અને મુસાફરો પણ તાત્કાલિક નીચે ઊતરી ગયા હતા.દાહોદ ફાયરબ્રિગેડને જાણ કરાતાં કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી.
આશરે બે કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત કોચ અને એન્જિનને છૂટાં કરી બાકીના કોચ સાથે ટ્રેન રવાના કરી દેવામાં આવી હતી. આ મામલે રેન્જ આઈજી આર. વી. અસારીએ જણાવ્યું હતું કે જેકોટ પાસે ટ્રેનમાં એન્જિનમાં સ્પાર્કથી આગ લાગવાની ઘટના બની છે અને એફએસએલને સૂચના આપી છે. આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. બીજી તરફ જેકોટ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનના એન્જીનમાં આગ લાગવાની ઘટના બનતા પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા આણંદ-ડાકોર મેમું ટ્રેનને રદ કરવામાં આવી છે.