![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/fghj.jpg)
રાજકોટમાં 12 વર્ષમાં 4 વખત 50 ઈંચથી વધુ વરસાદ, બન્ને ડેમ ઓવરફ્લો, આજીમાં 2599 કરોડ લિટર પાણીનો સંગ્રહ
રાજકોટમાં સતત બીજા વર્ષે સારો વરસાદ પડ્યો છે અને તમામ ડેમ ભરાઇ ગયા છે. તેને કારણે રાજકોટમાં પીવાના પાણીની સ્થિતિ કેવી રહેશે તે વિશે મનપાના નિવૃત્ત અધિકારી તેમજ પાણી પુરવઠાના નિયમનના એક્સપર્ટ ભાસ્કરને જણાવે છે કે, રાજકોટમાં ગમે તેટલો વરસાદ પડે તો પણ પીવા માટે નર્મદા અને ભાદર આધારિત રહેવું પડે છે. હયાત સ્ત્રોતો વધારવામાં આવે તો જ આત્મનિર્ભર બની શકાય છે.
વસ્તીનું પ્રમાણ વધતા આજીડેમ વર્ષમાં બે વખત ભરાય છે તો પણ રાજકોટ માટે પૂરતો નથી. હાલ ન્યારી-1, ભાદર, આજી-1 આટલા ડેમ ઉપરાંત દરરોજ નર્મદાનું પાણી પણ જરૂર પડે છે. ઉનાળામાં સૌની યોજનાથી ડેમ ભરાય તે વળી અલગ જ. રાજકોટ સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનો ખર્ચ પ્રતિ લિટર 6થી 8 રૂપિયા છે તેથી તિજોરી પર ભાર પડે છે. રાજકોટને પાણી માટે આત્મનિર્ભર બનવું હોય તો તેનો પહેલો રસ્તો હયાત જળસ્રોતની ક્ષમતા વધારવાનો છે. ન્યારી 1નું લેવલ વધાર્યું હવે અન્ય ડેમ છે તેના જળનો ઉપયોગ કરવો પડશે. ન્યારી-2 ડેમમાં ગટરોનું પાણી બંધ કરાય તેમજ નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉમેરાય તો ન્યારી-2 માંથી 50 એમએલડી (પ્રતિ દિન 50 લાખ લિટર) પાણી મળી શકે જે રૈયાધાર વિસ્તારમાં આપી ત્યાં અપાતા નર્મદા નીરમાં 50 ટકા કાપ મૂકી શકાય છે. આજી-2 પણ ઉપયોગમાં લઈ લેતા લગભગ નર્મદા નીરની જરૂર 70 ટકા ઘટી જાય તેમ છે.