પાટણમાં કૃષ્ણની પ્રતિમાઓને ભક્તિમય માહોલમાં વિસર્જીત કરાઇ
પાટણમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર અને ભકિતમય માહોલમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. શહેરના વિવિધ મહોલ્લા – પોળો અને સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા કાર્યક્રમો યોજાતા સર્વત્ર શ્રીકૃષ્ણના જય જયકારથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. તો બીજીતરફ જન્માષ્ટમીના પાવન પર્વને અનુલક્ષીને પરિવારમાં પુત્ર જન્મની ખુશીમાં તેમજ લોકોએ હરખના કાનુડાની મૂર્તિને ઘરે લાવી તેની ભકિતભાવ પૂર્વક પૂજાવિધિ કરી ભજન – કિર્તન અને ગરબાના આયોજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવને ઉજવવામાં આવ્યો હતો.
શહેરનાં વિવિધ વિસ્તારોમાં પુત્ર જન્મની ખુશી તેમજ બાધા માનતાને લઈ પરીવારજનોએ પાટલા ઉપર માટીના કાનુડાને પધરાવી તેની વિશેષ પૂજા વિધી કરી હતી. મહિલાઓ કાનુડાનાં ગરબે ઘુમી કૃષ્ણભકિતમાં લીન બની હતી. ત્યારબાદ બહેનો દ્વારા આજે શુક્રવારના રોજ શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાનુડાની મૂર્તિને વાજતે ગાજતે જળમાં પધરાવવા માટે લઈ જવામાં આવી હતી. મહિલાઓએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે કાનુડાને મસ્તક ઉપર ધારણ કરી ત્યારબાદ ટ્રેકટર અને ટ્રકમાં બેસાડી વિવિધ જળાશયોમાં કાનુડાની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ માનતારુપી કાનુડાની મૂર્તિને તળાવમાં વિસર્જન કરવા બેહેનોનો ભારે ઘસારો રહ્યો હતો.