આદિવાસી લોકો દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ
(રખેવાળ ન્યૂઝ)દાંતા, દાંતા તાલુકામા મોટાભાગની વસ્તી આદિવાસી બહુ સંખ્યક છે. જેમા ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીની આસ પાસ પણ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસે છે. અંબાજી નજીક આવેલા આદિવાસી સમાજના લોકો બેડાપાણી જંગલ વિસ્તારમા પણ રહે છે. જ્યા ગઈકાલે અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ કરેલા કાચા અને પાકા મકાનોને તોડી પાડ્યા હતા. જેને લઇને સમગ્ર મામલો ગરમાયો છે. ત્યારે આજે મોટી સંખ્યામાં બેડાપાણી વિસ્તાર અને આજુબાજુ મા વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો એકઠા થઈ અંબાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
જેમાં અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા અંબાજી નજીક આવેલા બેડાપાણી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી જનજાતિના કાચા અને પાકા દબાણને દૂર કર્યું હતું, જેને લઇ આજે આદિવાસી સમાજમાં રોષ જાેવા મળ્યો હતો અને બેડા પાણી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોએ ઢોલ વગાડી આદિવાસી લોકોને એકઠા કર્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલાને લઈ આદિવાસી સમાજના લોકો વચ્ચે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. આદિવાસી લોકોએ પોલીસ વિભાગથી ફોરેસ્ટ વિભાગ પર કાર્ય કરવાની માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા.
ત્યારબાદ સમગ્ર વિસ્તારના આદિવાસી જનજાતિના લોકો જેમાં મહિલાઓ, બાળકો સહિતના આદિવાસી લોકો અંબાજી પોલીસ સ્ટેશન પહોં ચ્યા હતા અને અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અંબાજી ગ્રીન પ્રોજેક્ટ હેટલ સમગ્ર વિસ્તારને ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રોજેક્ટને પૂર્ણ કરવા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા બેડા પાણી વિસ્તારમા દબાણ પર કાર્યવાહી કરતા સમગ્ર મામલો ગરમાયો હતો.