![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/15-23.jpg)
ડીસાના વેપારીને 5.67 કરોડનો ચૂનો લગાવનાર કાકા-ભત્રીજાને પોલીસે દબોચી લીધા
વિદેશમાં રૂ.35 હજાર કરોડની વિદેશી એન્ટીક ખુરશી માટે સોદો કર્યો હોવાનું જણાવીને પાટણ ખાતે 4 વર્ષ અગાઉ ડીસાના એક વેપારી સાથે રૂપિયા 5.67 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરવાની ઘટનામાં આખરે પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં શહેરના કાકા ભત્રીજા અને ધાનેરાના ધાખા અને ડીસાના ટેટોડાના મળી 4 શખ્સો સામે શુક્રવારે ફરિયાદ દાખલ થઇ હતી. આ કેસમાં SOGએ બે આરોપીઓને પાટણથી ઝડપી પડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ઘટનાની વિગતે વાત કરીએ તો ડીસા ખાતે ગાયત્રી મંદિર પાછળ આવેલી રામનગર સોસાયટીમાં રહેતા અને ગંજ બજારમાં દુકાન ધરાવતા ત્રિકમાજી ગમજીજી બારોટ વેપારીઓને બારદાન પુરા પાડવાનો ધંધો કરે છે. તેમની દુકાનની બાજુમાં તેમના મામાની દુકાન આવેલી છે, તેમના ત્યાં ગાજરીપરા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક ઉત્તમભાઈ ઇશ્વરભાઇ ચૌધરી ટેટોડા તા.ડીસા અને તેનો મિત્ર આંબાભાઇ દાનાભાઇ પાત્રોડ ધાખા તા.ધાનેરા અવારનવાર આવતા હોવાથી તેમને પણ પરિચય થયો હતો.ગત 12 જૂન 2018ના રોજ ઉત્તમભાઈ અને આંબાભાઈ ત્રિકમાજીને મળ્યા હતા અને તેમને પાટણની મોટી વ્યક્તિ સલીમભાઈ ફારુકી સાથે ઓળખાણ છે અને તેને વિદેશમાં મોટા બિઝનેસ ચાલે છે તેમાં અમે ભાગીદારી કરી છે, જેમાં રોકાણ કરવા માટે અમારી પાસે હાલ પૈસા ન હોવાથી વિદેશનો ધંધો રોકાયો છે તેમ કહીં ઉછીના રૂપિયા માંગ્યા હતા. બેંકના વ્યાજ કરતા વધુ નફા સાથે પરત કરવાની ખાતરી આપી હતી. બે દિવસ પછી તેઓએ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ નામનો લેટર બતાવ્યો હતો.
જેના મુજબ તેમને સ્વીત્ઝર્લેન્ડ પેમેન્ટ ટ્રાન્સફર કરવા અધિકારીઓની નિમણૂક કરાયેલ છે તેમ જણાવી પાટણ ખાતે લાવી રેલવે ફાટક પાસે આવેલ સર્કિટ હાઉસના ગેટની બાજુમાં મકાનમાં મહમદ સલીમ અને તેના ભત્રીજા જાફર સાથે વાતચીત કરાવી હતી. તેમાં વિશ્વાસ બેસતા રૂપિયા 5 લાખ રોકડા અને બીજા 5 લાખ આંગડિયા મારફતે અમદાવાદ મોકલી આપ્યા હતા. આ પછી દર બે ત્રણ દિવસે પૈસા આપ્યા હતા. બે માસ પછી ત્રિકમજીએ તેમના નાણાની ઉઘરાણી ઉત્તમભાઈ અને આંબાભાઇ પાસે કરતા તેઓને પાટણ ખાતે સલીમ પાસે લઈ આવ્યા હતા. જ્યાં સલીમ અને તેના ભત્રીજાએ ઉશ્કેરાઈ આ ધંધામાં મારી સાથે મોટા અધિકારી પણ છે અને તેમની સાથે મારે સારા સંબંધો છે એટલે તમે મારું કંઈ બગાડી શકવાના નથી અને ખોટી દલીલ કરી તો તમે તકલીફમાં મુકાઈ જશો તેવી ધમકી આપી હતી.ત્યારબાદ ત્રિકમાજીને આ લોકો પર શંકા થતા તેમણે સેન્ટ્રલ બેન્ક, મંત્રાલય, વિદેશી બેંકના લેટરપેડ અને એન્ટિક વસ્તુના દસ્તાવેજ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યા હોય સંબંધીઓ સાથે સ્થાનિક બેંકમાં જઈને તપાસ કરતા આ તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સાથે છેતરપિંડી થયાનું જણાતા 11 જુલાઈ 2022ના રોજ ઉત્તમ ચૌધરીને મળતા તેણે કાગળ ઉપર વ્યાજ સાથે રૂ. 6 કરોડ બે મહિનામાં પરત આપવાની બાંહેધરી આપી હતી. નોટરી સમક્ષ એફિડેવિટ કબૂલાતનામું લખી આપ્યું હતું. બે મહિનાનો સમય પૂરો થતાં ઉઘરાણી માટે ફોન કરતા તેમના ફોન રિસીવ થયા ન હતા અને રૂબરૂ મળવા જતા હવે ઉઘરાણી કરતા નહીં તમારા રૂપિયા સલીમ ફારુકી લઈ ગયો છે અને મારી પાસે ઉઘરાણી આવશો તો જીવ બચાવવો કાઠો થઈ જશે તેવી ધમકી આપી હતી.જેને પગલે તેમણે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે મહંમદ સલીમ કાલુમિયા ફારુકી (રહે.મન્નત બંગલો, ખાન સરોવર રોડ, પાટણ), ઉત્તમભાઈ ઇશ્વરભાઇ ચૌધરી (રહે.ટેટોડા તા.ડીસા), આંબાભાઈ દાનાભાઈ પાતરોડ (રહે.ધાખા તા.ધાનેરા) અને મહંમદ સલીમ ફરુકીનો ભત્રીજો જાફરભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આઈપીસી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતોમહમદ સલીમ તેણે વિદેશમાં નેકળ ચેર એન્ટિક વસ્તુના રૂ.35.398 કરોડમાં સોદા નક્કી કર્યાનું જણાવીને તેની પ્રોસેસ માટે રિઝર્વબેન્ક, મિનિસ્ટ્રી ઓફ ઈન્ડિયાના અશોક સ્તંભ સાથેના લેટરપેડ ઉપરાંત સ્વીત્ઝર્લેન્ડ અને ફીડ બેન્કના બનાવટી દસ્તાવેજો ઉભા કરેલ હતા. જેમાં ત્રિકમાજીએ 14 જૂન 2018થી 8 નવેમ્બર 2019 સુધી ટુકડે ટુકડે રૂ.5.67 કરોડ રોકડા અથવા હવાલા મારફતે આપ્યા હતા.આ મામલે ડીવાયએસપીએ કહ્યું હતું કે, વેપારી દ્વારા ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ બે આરોપીને પાટણ એસઓજી પોલીસે પાટણ ખાતેથી ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે, બે આરોપી પકડવાના બાકી છે.તપાસ અધિકારી એસઓજી પીએસઆઈ વી.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી ફારુકી મહમદ સલીમ કાલુમિયાએ વર્ષ 2021માં ધાનેરાના એક વ્યક્તિ સાથે આવી જ છેતરપિંડી કરી હતી અને પકડાયો હતો. ત્રિકમ બારોટે તેના 5.67 કરોડની ઉઘરાણી કરતા પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પરત ન કરતા આખરે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી ઉત્તમભાઈ અને આંબાભાઈને મદદ કરવા જતાં તેઓ છેતરાઈ ગયા હતા.