![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/09-25.jpg)
ઇડરમાં ઊંઘની ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ
ઈડરના જાલીયામાં હનુમાનજી મંદિરમાં પૂજાપાઠ કરતાં અને વર્ષોથી રહેતા 65 વર્ષીય ગુરુ અને 36 વર્ષીય શિષ્યાને મંદિર છોડી જતાં રહેવા એક દાયકાથી ધાક ધમકી આપી માનસિક ત્રાસ ગુજારી રહેલા લખનૌના બે શખ્સોથી કંટાળી ઊંઘની ગોળીઓ ગળી જીવન ટૂંકાવવા મજબૂર બન્યાની સ્યુસાઇડ નોટ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.જાલીયાના હનુમાનજી મંદિરમાં વર્ષોથી રહી પૂજા પાઠ કરી મંદિરના મહંત તરીકે રહેતાં સીતારામ રામદેવ શુક્લા તેમજ તેમના શિષ્યા બિનાબેન સીતારામ શુકલા બંનેએ રાત્રિ મંદિરના મકાનમા ઊંઘની ગોળીઓ ગળી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બંનેને સારવાર અર્થે ઇડર સિવિલમાં લઈ જવાયા હતા.શિષ્યા બિનલ શુક્લાએ જણાવ્યું કે ગુરુ તેમજ પોતે છેલ્લા કેટલાક વર્ષોથી જાલીયાના હનુમાનજી મંદિર ખાતે પૂજા પાઠ કરી રહ્યા છે અને તેમને મંદિર ખાલી કરી જતાં રહેવા લખનૌના અમિત સીતારામ શુક્લા અને અતુલ સીતારામ શુક્લા નામના શખ્સો એક દાયકાથી ધાક ધમકી આપી માનસિક હેરાનગતિ કરતાં રાત્રે ગુરૂ તેમજ શિષ્યા બંનેએ ઊંઘની દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુ શિષ્યાએ આત્મહત્યાના પ્રયાસ પહેલા બંને વિરુદ્ધ લખેલ સ્યુસાઇડ નોટ પણ વાયરલ થઈ હતી.
ગુરુ તેમજ શિષ્યા બંનેએ બે લોકો વિરૂદ્ધ મોતની ચિઠ્ઠી લખી મોતને વ્હાલું કરવાનો માર્ગ અપનાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઇડર સિવિલના તબીબે જાદર પોલીસ મથકે જાણ કર્યા બાદ બંનેને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. સિવિલના તબીબનાં જણાવ્યા અનુસાર બંનેની હાલત હાલ સ્થિર છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગુરુ-શિષ્યાએ બે લોકોના ત્રાસથી કારણે ઊંઘની ગોળીઓ ગળી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યાનું જે લખાણ વાયરલ થયું છે તેમાં બે કાગળો છે જેમાં લખાણ સ્પષ્ટ રીતે અલગ જણાય છે. બિનલબેનની સહી બંને કાગળમાં અલગ અલગ જણાય છે. પોલીસ તપાસમાં શુ આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે.