સાબરકાંઠા જિલ્લામાં એકપણ જળાશય 100 ટકા ભરાયું નથી
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદે હાથ તાળી આપી છે. કાળા ડીબાંગ વાદળો પરંતુ સાબરકાંઠા કોરું કટ રહ્યું છે. શ્રાવણમાં ભાદરવા જેવું વાતવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોને પણ ખેતરમાં વાવેતરને જીવંતદાન માટે પાણી જરૂરી છે. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે તાલુકામાં વરસાદ નોધાયો છે. તો જિલ્લાના જળાશયોમાં પાણીની આવક એક મહિનાથી બંધ જેવી જ છે. હજી જિલ્લાના એક પણ જળાશય 100 ટકા ભરાયા નથી.ચોમાસું ચાલી રહ્યું છે પરંતુ સાબરકાંઠામાં તેની અસર જોવા મળી નથી રહી. છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધા બાદ ક્યાંક છુટા છવાયા વરસાદી ઝાપટા પડી જાય છે. તો શ્રાવણ માસમાં ભાદરવા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ક્યારેક આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ જાય છે. ત્યાર બાદ પવન ફૂંકાય અને વાદળો ગાયબ થઇ જાય છે અને ભડકા જેવો તાપ નીકળે છે. આમ દિવસ દરમિયાન આ પ્રકારનું વાતવરણ વચ્ચે ખેડૂતો કાળા ડીબાંગ વાદળો જોઇને કહેતા હોય છે કે હવે આવશે વરસાદ પરંતુ આ કાળા ડીબાંગ વાદળો હાથતાળી આપતા જોવા મળે છે.
ચોમાસામાં ખેડૂતો વાવેતર કર્યા બાદ પાકને જીવંતદાન માટે વરસાદની જરૂર છે. ત્યારે વરસાદ આવતો નથી. તો ખેડૂતોએ પણ હવે કુવા અને બોરના પાણીએ પાણ શરુ કર્યા છે. તો પ્રાંતિજ તાલુકામાં ડાંગરમાં પાણીની જરૂરિયાત બહુજ હોય છે પણ વરસાદ નહિ હોવાને લઈને ખેડૂતો પરેશાન થયા છે.આ અંગે સોનાસણ પ્રતિક પટેલ અને પોગલું યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વરસાદ આવવાને લઈને ડાંગરની ખેતી કરી દીધી, પરંતુ એક મહિનાથી વરસાદ બંધ થયો છે. જેને લઈને પાણી વગર ડાંગરને નુકશાન થઇ રહ્યું છે. તો જે ખેડૂતોને બોર કુવા છે તે તેનાથી ખેતરમાં પાણી ભરવાનું શરુ કર્યું છે. પરંતુ વરસાદ આધારે ખેતી કરતા ખેડૂતોનો પાકને અસર થઇ શકે છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક આઠમાંથી બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પ્રાંતિજમાં રાત્રી દરમિયાન 7 મીમી તો વિજયનગરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ જિલ્લાના જળાશયોમાં હાલમાં પાણીની આવક બંધ છે તો ચોમાસામાં ઓછા વરસાદને લઈને એક પણ જળાશય 100 ટકા પણ ભરાયું નથી. તો ગુહાઈ 53.13 ટકા, હાથમતી 44.50 ટકા, જવાનપુરા બેરેજ 6 ટકા, હરણાવ 74.69 ટકા, ખેડવા 63.36 ટકા, ગોરઠીયા બેરેજમાં 40.36 ટકા ભરાયું છે.