ડીસાના નવા બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા શ્રમ રથ દ્વારા લોકોને જાગૃત કરાયા
બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો પણ સ્વચ્છ રહે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છતા શ્રમ રથ અલગ અલગ જગ્યાએ ફરી નાટકો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવશે.ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા જિલ્લાના બસ સ્ટેન્ડને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતા રથની શરૂઆત કરવામાં આવી છે. જે શ્રમ રથ જિલ્લાના અલગ અલગ બસ સ્ટેન્ડમાં ફરી લોકોને સ્વચ્છતા રાખવા માટેની પ્રેરણા આપશે.આ રથ ગઈકાલે ડીસાના નવા બસ સ્ટેન્ડમાં પહોંચ્યો હતો. જ્યાં શેરી નાટક રજૂ કરી સ્વચ્છ ભારતના નિર્માણમાં લોકોને સહયોગ આપવા માટે અપીલ કરી હતી.
સ્વચ્છતા અંગેનું નાટક રજૂ કર્યા બાદ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, શશીકાંત પંડ્યા, ડેપો મેનેજર સોનલ પટેલ સહિત કર્મચારીઓ અને મુસાફરોએ બસ તેમજ બસ મથકને સ્વચ્છ રાખવા માટે જાહેરમાં ગંદકી નહીં કરવા માટેના શપથ લીધા હતા. આ અંગે ડેપો મેનેજર સોનલ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર વિભાગ દ્વારા સ્વચ્છતા શ્રમ રથનું આયોજન કરાયું છે. જે રથ 75 જેટલા બસ સ્ટેન્ડમાં ફરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરશે અને બસ સ્ટેન્ડ સહિત ગામને સ્વચ્છ રાખવા માટેના આ પ્રયાસમાં લોકો પણ સાથ સહકાર આપે ગામને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.