પાટણ માર્કેટીંગ યાર્ડમાં ભાજપના 16 ઉમેદવારોએ ત્રણ વિભાગમાં ફોર્મ ભર્યા
પાટણ નવાગંજ માર્કેટયાર્ડ સમિતિની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે માર્કેટયાર્ડના ખેડૂત ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે.પાટણ નવાગંજ માર્કેટયાર્ડ સમિતિની સામાન્ય ચૂંટણી આગામી 4 નવેમ્બરના રોજ 3 વિભાગમાં યોજાવાની છે. જેને લઇ રાજકારણ ગરમાયું છે. માર્કેટયાર્ડ સમિતિમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ઇતર વિભાગ મળી કુલ 3 વિભાગમાં 16 બેઠકો માટે ચૂંટણીજંગ ખેલાશે ત્યારે ભાજપ દ્વારા મેન્ડેટ અપાયેલા 16 ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી નોધાવી છે જેમાં ખેડૂત વિભાગમાં 10, વેપારી વિભાગમાં 4 અને ઇતર વિભાગમાં 2 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરી સુપ્રત કર્યા હતા.
આગામી 4 નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ સહિત પદાધિકારીઓ અને કાર્યકરોની સાથે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે જીલ્લા પ્રમુખે દશરથજી ઠાકોર એ જણાવ્યુ હતું કે, માર્કેટયાર્ડ સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો બીનહરીફ ચૂંટાશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, કે.સી.પટેલ, પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઇ દેસાઇ, કિશોર મહેશ્વરી સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.