![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/Rakhewal-360.jpg)
‘બનાસકાંઠાને દુનિયાનો સૌથી સુખી-સમૃદ્વ જિલ્લો બનાવવો’ છે
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાછડાલ ગામે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે વાછડાલ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી સંચાલિત બનાસ ઉમંગ મોલનો શુભારંભ, બનાસ બેન્કના એટીએમનું લોકર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવતા ગામમાં ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગ્રામજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, વાછડાલ ગામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કામ કર્યુ છે. ગામના દરેક વ્યક્તિનું કલ્યાણ અને ભલું થાય એ દિશામાં કામ કરીએ તો પ્રકૃતિ કે કુદરત પણ મદદ કરતી હોય છે. તેમણે કહ્યું કે સુખી થવા માટે ધરતી પર પશુ, પંખી, વૃક્ષ હોવા જરૂરી છે. માતા-બહેનોના પુરુષાર્થ અને તેમના આશીર્વાદથી બનાસ ડેરી પ્રગતિના નવા સોપાનો સર કરી રહી છે. કોઈપણ વ્યવસાય, ધંધામાં ૧૦ કે ૨૦ ટકા જ નફો મળે છે. ત્યારે બનાસ ડેરીએ આ વર્ષે ૨૦.૨૭ ટકા જેટલો ઐતિહાસિક નફો આપ્યો છે. પશુપાલકોને પુરતા રૂપિયા મળે તે માટે બનાસડેરીના કર્મચારીઓ રાત-દિવસ કામ કરે છે. આપણી બનાસનું દૂધ કેદારનાથમાં જાય છે. અત્યારે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં કાશી વિશ્વનાથમાં ભગવાન શિવને બનાસની ગાયોનું દૂધ ચડે છે. બનાસકાંઠા જિલ્લો ખેતી, પશુપા લનની જેમ પોતાના ખેતરના શેઢે-પાળે ચંદનના વૃક્ષ વાવીને આર્થિક રીતે સદ્ધર બની શકે તે દિશામા પ્રયાસો આદરવા છે. જે ખેડૂતોને ચંદનના ઝાડ વાવવા હોય એવા ખેડૂતોને રૂ.૩૦૦નો છોડ માત્ર રૂ.૩૦ રૂપિયામા આપવામાં આવશે. એક ખેડૂતને વધુમાં વધુ ૧૦૦ છોડ આપવામાં આવશે. આ ચંદનનો એક છોડ ૧૦ વર્ષ પછી રૂપિયા એક લાખની કિંમત આપ શે. બનાસકાંઠાને દુનિયાનો સૌથી સુખી-સમૃદ્વ જિલ્લો બનાવવો છે. થરાદ અને ધાનેરા વિસ્તારને પાણી આપવા માટે રૂ. ૧૪૦૦ કરોડની યોજના મંજુર કરવામાં આવી છે. આ વિસ્તારની પાણીની સમસ્યાઓના નિવારણ માટે કોઈ કચાશ રાખ વામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું હતું. અધ્યક્ષએ જણાવ્યું કે દેશના ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહએ દેશમાંથી બે બેન્કો ની પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવી છે એમાં આપણી બનાસ બેન્કની પણ પસંદગી કરવામાં આવી છે.
સૌ સાથે મળીને કાર્ય કરીશું તો સમાજને ચોક્કસ ફાયદો થશે
આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઇએ જણાવ્યું કે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ બનાસડેરીના માધ્યમથી આ વિસ્તારને હરિયાળો બનાવવાની દિશામાં પ્રયાસો આદર્યા છે. બનાસડેરી દ્વારા દૂધની આવક ઉપરાંત વેલ્યુ એડીશનના આયોજનો કરવામાં આવી રહ્યા છે. આજે બનાસડેરી એશિયા ખંડમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે અને એમાંય આપણો ધાનેરા તાલુકો દૂધ ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે. આ વિસ્તારની પાણીની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૪૦૦ કરોડની યોજના મંજુર કરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારના ભલા માટે સૌ સાથે મળીને કાર્ય કરીશું તો સમાજને ચોક્કસ ફાયદો થશે.
આગેવાનો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
બનાસ બેન્કના ચેરમેન સવશીભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસડેરીએ આ વર્ષે ૨૦.૨૭ ટકા જેટલો ઐતિહાસિક નફો ફાળવ્યો છે, જે બદલ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીનો આભાર વ્યક્ત કરું છું. સહકારી માળખાના માધ્યમથી સમગ્ર દેશમાં દૂધ પૂરું પાડવામાં આવે છે. ત્યારે સહકારી માળખાને મજબૂત બનાવવા સહકાર આપીએ. આ પ્રસંગે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો જોઇતાભાઈ પટેલ અને નથાભાઈ પટેલ, બનાસડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઇ રબારી સહિત ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરઓ, અગ્રણીઓ પીરાજી ઠાકોર, ભગવાનભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત, રેશાભાઈ પટેલ, ગણપતભાઈ રાજગોર સહિત આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.