મૃતક ખેડૂતના નામે બેન્કમાં ખાતુ ખોલાવાના કાવતરાનો પર્દાફાશ
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુરની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં બે ખેડૂતો પૈકી એક ખેડૂત મૃત વ્યક્તિનું આધાર કાર્ડ અને ફોટો આપી ખાતુ ખોલાવવાની પ્રક્રિયા કરી હતી. જોકે, અગાઉ ઓનલાઈન ફોર્મ ભર્યું હોઇ મેનેજર સમક્ષ ફિંગર પ્રિન્ટ આપતી વખતે તે પકડાઈ ગયો હતો. મેનેજરે બંન્ને ખેડૂતોને પોલીસ મથકે સોંપ્યા હતા.પાલનપુરની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટન્ટ રવિકુમાર દર્શનસિંહ દહીયા પાસે વડગામ તાલુકાના ધનાલીનો દિનેશભાઈ નટવરભાઈ પરમાર અને કલ્પેશભાઈ ધનરાજભાઈ ચૌધરી ખાતું ખોલાવવા માટે આવ્યા હતા.
જે પૈકી દિનેશ પરમારે જગાણા ગામના મૃતક કિરણભાઈ ગણેશભાઈ ચૌધરીના નામનું આધાર કાર્ડ અને ફોટો આપ્યો હતો. અને ઓનલાઇન એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ રજૂ કર્યુંં હતું. આ ઓનલાઇન ફોર્મ ઓટીપીથી જનરેટ કરેલું હોઇ ફિંગર પ્રિન્ટ આપવા માટે બેંકના મેનેજર સંદીપ રામકેશ મીણા પાસે લઈ જવાયો હતો. જોકે, ડિવાઇસ ઉપર ફિંગર પ્રિન્ટ મેચ થઈ ન હતી. આથી મેનેજરને શંકા જતાં પોલીસને બોલાવી લીધી હતી. પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ આર. બી. ગોહિલ ટીમ સાથે આવી બંનેને પકડી ગૂનો નોંધ્યો હતો.બેંકના મેનેજરે કિરણભાઈ ચૌધરીનું ખોટું નામ ધારણ કરનાર ખેડૂત દિનેશ પરમારની ફિંગરપ્રિન્ટ લેતા મેચ થઈ ન હતી.
જેથી શંકા જતા તપાસ કરી હતી. જેમાં બેંકના સેવક તરીકે નોકરી કરતા શૈલેષભાઇ પ્રજાપતિએ કિરણભાઇનું આધાર કાર્ડ જોયું હતું. જેમાં આધાર કાર્ડમાં રહેલી વ્યક્તિ તેમના ગામની અને મૃતક હોવાનું કહી ભાંડો ફોડ્યો હતો.બંને યુવકો ખેતીના કામ સાથે સંકળાયેલા છે. પીએમ કિસાન સન્માન નિધિના ખેડૂતોને મળતી ૨૦૦૦ની સહાય મેળવવા માટે તેમણે ખાતું ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને જણાએ જગાણાના મૃત ખેડૂતનું આધારકાર્ડ અને ફોટો કેવી રીતે મેળવ્યો સહિતની તપાસ કરવામાં આવી રહી છે.