પાટણમાં સરસ્વતી નદીકાંઠે શ્રાવણ માસમાં યોજાશે
પાટણની પવિત્ર સરસ્વતી નદીકાંઠે આનંદેશ્વર મહાદેવના મંદિર ખાતે”અતિરુદ્ર મહાયજ્ઞ” યોજાવાનો છે. ત્યારે સરસ્વતી નદીકાંઠે અને કુદરતના ખોળે બીરાજમાન આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં “અતિરુદ્ર મહાયજ્ઞ”ના આયોજન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અગિયાર દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞના દર્શન માટે ન માત્ર પાટણના જ નગરજનો પરંતુ ઉતર ગુજરાત સહિત રાજ્ય અને રાજ્ય બહારના મહેમાન તેમજ સંત અને સાધુઓ પણ પધારશે. જે માટે આનંદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા “અતિરુદ્ર મહાયજ્ઞ”દર્શન માટે રુબરુ પહોંચી સંતો તેમજ મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અતિરુદ્ર મહાયજ્ઞની માટે છેલ્લા ત્રણ માસથી વધુના સમયથી આયોજન શરુ કરવામાં આવ્યું છે.અતિરુદ્ર મહાયજ્ઞમાં સૌથી વિશેષ અને શીવભક્તો માટે ખાસ વાત એક એ પણ છે કે, આ મહાયજ્ઞ જાણીતા અને આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશ બાપુના માર્ગદર્શન હેઠળ થનાર છે. અતિરુદ્ર મહાયજ્ઞમાં 11 દિવસ સુધી એક્કાવન (51) યજમાનો યજ્ઞમાં બેસશે. 70 જેટલા ભૂદેવો મંત્રોચ્ચાર થકી મહાયજ્ઞની આરાઘનાના દિવસભર દર્શન કરાવશે.આ અતિરુદ્ર મહાયજ્ઞમાં એક મુખ્ય અને બે સહ યજમાન જે અગિયાર દિવસ સુધી મહાયજ્ઞના સમાપન સુધી બેસશે. તેમજ અગિયાર દિવસ સુધી દરરોજ 48 યજમાનો એક દિવસના યજમાન બની આ અતિરુદ્ર મહાયજ્ઞના અસ્મર્ણીય સાક્ષી બનશે. પાટણની પવિત્ર ધરતી પર અનેક વર્ષોની પ્રતિક્ષા બાદ આખરે નગરજનો ન માત્ર એક દિવસ પરંતુ અગિયાર દિવસ સુધી અતિરુદ્ર મહાયજ્ઞના દર્શનની સાથે-સાથે મહાપર્વના સાક્ષી પણ બનશે. આ મહાયજ્ઞનો પ્રારંભ “શ્રાવણ વદ બીજ થી થશે અને શ્રાવણ વદ બારસ”ના રોજ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે. એટલે કે આ અતિરુદ્ર મહાયજ્ઞ તારીખ 01/09/2023 થી 11/09/2023 સુધી યોજાશે.