![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/36-6.jpg)
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં જી 20 અંતર્ગત ‘યુવાભારત’ વિષય પર સેમિનારનું આયોજન કરાયુ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ ભવન ખાતે G-૨૦ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. આ સેમિનારની શરુઆતમાં યુવાનોની જવાબદારીને ઉજાગર કરતાં વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. રોહિત એન દેસાઈએ યુવાનોને સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોને અનુસરવા અને બિન જરૂરી પ્રવૃત્તિઓને બદલે નવા સ્ટાર્ટ અપ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી સોશિયલ મીડિયા પર તેમનો પ્રચાર કરવા ભાર મૂક્યો હતો.વિભાગના વડા ડૉ.અશ્વિન મોદી દ્વારા સ્વાગત પ્રવચનમાં વિદ્યાર્થીઓને આ વિશે વાત કરતા જણાવ્યું કે, આપણે ગુજરાતી પ્રજા ગાવામાં, ખાવામાં, અને ફાવવામાં, માહિર છે. તેથી જ ગમે તે નવા બિઝનેસમાં અથવા નવી સ્કિલ હાંસિલ કરવામાં આપણે ફાવી જઈશું એવો અભિગમ અપનાવીએ છીએ. તેના કારણે જ આજે રિલાયન્સનું અંબાણી ગ્રુપ અથવા ગૌતમ અદાણી જેવા ટોપ બિઝનેસમેન દેશને આપણે આપી શક્યા છીએ. વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી સાથે જોડાઈ કંઈક નવું સાહસ કરવા માટે પ્રેર્યા તેમજ આપણે ફાવી જઈશું તેવું અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આર્કિટેક વિભાગના પ્રોફેસર અને વડા – ડૉ. મીરા ચેતવાણીએ 100 થી વધુ વિદ્યાર્થીઓને સેમિનારના મુખ્ય વક્તા તરીકે સંબોધિત કર્યા. તેમણે યુવાનોને સ્ટાર્ટઅપના ઘણા ઉદાહરણો આપ્યા અને આપણા ઐતિહાસિક ખજાના પર પાછી દ્રષ્ટિ કેળવવાની સલાહ આપી. તેમના દ્વારા ગીતાના સારને યાદ અપાવી વિદ્યાર્થીઓને તામસી રાજસી અને સાત્વિક ભોજન પ્રણાલી તેમજ “જેવું અન્ન તેવું મન” એ વાત ને આપણે દરેક ભારતીય સંસ્કૃતિમાં માનતા આવ્યા છીએ તેમજ પાણીમાં પણ યાદશક્તિ હોય છે તે વાત કરતા તેમણે અન્ન પાણી અને વાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો તેવું જણાવ્યું હતું.વિશ્વમાં વર્ષ 2023 ને મિલિટ્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે ત્યારે રાગી, ઓટ્સ, બાજરા, જુવાર, મકાઈ જેવી પારંપરિક ધાનમાંથી બનતા આધુનિક પીઝા બર્ગર બેકરી આઈટમને નવા સ્ટાર્ટઅપ્સ તરીકે બજારમાં મૂકવા વિદ્યાર્થીઓને પરામર્ષ કર્યો હતો.આ કાર્યક્રમના અંતે ડો. કવિતા ત્રિવેદી દ્વારા ભાગવત ના સારા તથા આપણા પારંપરિક ધાનનું આંતરરાષ્ટ્રીય બજારમાં મહત્વ સમજાવી યુવાને મજબૂત બની દેશને સકારાત્મક દિશા તરફ જવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તથા ઓર્ગેનાઇઝિંગ કમિટી, વિદ્યાર્થીઓ મહેમાનો અને અધ્યાપકોનો આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ડૉ.કવિતાબેન ત્રિવેદી અને પાયલબેન બારોટ એ વિશેષ પ્રયત્નો કર્યા હતો. તેમજ કાર્યક્રમમાં ડૉ.રિદ્ધિ અગ્રવાલ, ડૉ.જય ત્રિવેદી, ડૉ.આનંદ પટેલ, ચિરાગ પટેલ, તેમજ ભરતભાઈ ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.