![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/13-14.jpg)
ચાણસ્માના મીઠી ઘારીયાલ ગામે પેચિક વર્ક ડામર રોડ બનાવવાનું શરૂ કરતાં ખેડૂતોમાં આનંદ છવાયો
ચાણસ્મા તાલુકાના મીઠી ઘારીયાલ ગામે બનાવવામાં આવેલ અમૃત સરોવર અને ગામથી અમૃત સરોવર સુધીના નેળિયા માર્ગને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી ખેડૂતો માટે પેચિક વર્ક ડામર રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. આ રોડ બનાવવા માટે મીઠી ઘારીયાલના પૂર્વ સરપંચ કાંતિજી ઠાકોર અને ગામ લોકો દ્વારા વારંવાર ધારાસભ્ય દિનેશજી ઠાકોર ને રજૂઆતો કરવામાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડનું કામકાજ શરૂ કરાયું છે.પૂર્વ સરપંચ હોદ્દા પર ન હોવા છતાં પણ ગામના વિકાસમાં રસ લઈને ગામના મજૂરો દ્વારા ગામના ગાંદરેથી અમૃત સરોવર સુધીના નેળીયાની બંને બાજુના બાવળો અને નડતરરૂપ ઝાડી ઝાંખડાને દૂર કરવાની કાર્યવાહી કરાતા છેલ્લા ઘણા સમયથી અમૃત સરોવર આજુબાજુના 150 થી વધારે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને ખેતરે જવા આવવામાં તકલીફનું નિવારણ આવતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો.મીઠી ઘારીયાલ ગામના ખેડૂત પ્રહલાદજી ઠાકોર એ જણાવ્યું હતું કે, અમૃત સરોવર જ્યાં બનાવ્યું છે ત્યાં જવાના ગામના ગાંદરેથી નેળીયા વાળો માર્ગ ચોમાસાના સમય દરમિયાન કાદવ કિચડવાળો અને ઝાડી ઝાખળાવાળો બની જતા ખેતરે જવા આવવામાં તકલીફો પડતી હતી પરંતુ પૂર્વ સરપંચના પ્રયત્નથી આ નેળીયા વાળો રોડ બનાવવાની શરૂઆત કરાતા અમારી કાયમી સમસ્યાનો ઉકેલ થયો છે અને અમે અતિ આનંદ વ્યક્ત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.જ્યારે પૂર્વ સરપંચ કાંતિજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગામના ગાંદરેથી અમૃત સરોવર સુધીનો નેળીયા વાળો રોડ બનાવવા માટે ખેડૂતોની માગ હતી જે તાલુકા અધિકારી અને ધારાસભ્યને લેખિત રજૂઆતો કરવામાં આવતા તેમના પરિણામ સ્વરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડનું કામ શરૂ કરાયું એ અને જેનાથી ખેડૂતોમાં અને ગામ લોકોમાં અતિ આનંદ વ્યાપી જવા પામ્યો હતો.