દિયોદરમાં લાફાકાંડને લઈને ટ્રેક્ટરો સાથે નીકળેલી ખેડૂતોની પદયાત્રા બનાસકાંઠામાંથી પાટણમાં પહોંચી ગાંધીનગર જવા પ્રસ્થાન
દિયોદરમાં યોજાયેલ અટલ ભુજલ યોજનાના સરકારી કાર્યક્રમમાં ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલે ખેડૂતની સમસ્યાને લઈ રજૂઆત કરતાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થક દ્વારા જાહેરમાં થપ્પડ મારતાં ઉગ્ર આંદોલન છેડાયું છે.જેના પડઘા પાટણ જીલ્લાના હાઈવે પર ગુંજી ઊઠયા હતા.બનાસકાંઠા વિસ્તારમાંથી 3 ટ્રેકટર અને 500 ખેડૂતોના કાફલા સાથે પાટણ જિલ્લાના સરસ્વતીના પાટણ શિહોરી હાઈવે થઈ પાટણ શહેર માં આવી પહોંચી હતી જ્યાં સ્વાગત કરવામાં આવ્યું હતું.જય કિસાનના નારા સાથે પાટણ જિલ્લાના ગામડાઓમાં થઈ પાટણ શહેર પ્રવેશી હતી.દિયોદર લાફા કાંડ સામે ખેડૂતોનો મોરચો યથાવત રહ્યો છે ત્યારે શુક્રવારે ધારાસભ્યના રાજીનામાંની માંગણીને લઈને ખેડૂતો પગપાળા યાત્રા ગાંધીનગર તરફ કૂચ કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી ખેડૂત યાત્રા પાટણ જિલ્લામાં પ્રવેશી હતી જેમાં દેલિયાથરા,વાયડ,નાયતા, કાંસા ગામથી ભુતિયાવાસણા ગામે રાત્રી રોકાણ કર્યું હતું ત્યાં થી પાટણ શહેર ના સિદ્ધપુર ચોકડી થઈ ઊંઝા થઈ ગાંધીનગર જવા પ્રસ્થાન થઈ હતી. જ્યાં સુધી ખેડૂતો ન્યાય નહી મળે ત્યાં સુધી ન્યાય યાત્રા ચાલુ રહેશે તેવું અમરાભાઈ ખેડૂતે જણાવ્યું હતું.