ઊંઝામાં રખડતા ઢોરને પકડવા માટે નગરપાલિકાએ અભિયાન હાથ ધર્યું
ઊંઝા વિસ્તારમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈને શહેરના લોકો ત્રાસી ગયા છે. ઊંઝા નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર સ્થાનિક લોકોએ રજુઆત કરી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ રખડતા ઢોરે એક વૃદ્ઘને અડફેટે લીધા હતા અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને લઈને નગરપાલિકાના સત્તાધીશોની આંખો ખુલતા આજરોજ શહેરના ઉમિયા માતાજી મંદિર તરફ જે પણ રખડતા ઢોર હતા એ તમામ ઢોર પકડીને બહાર છોડી મુકવામાં આવ્યા હતા.ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટર જાતે જ ઉભા રહીને કામગીરી કરી હતી. રખડતા ઢોર શહેરમાં રહેશે તો આવનાર સમયમાં બીજી પણ ઘટનાઓ બનવાની સંભાવના રહેલી છે. જેથી કરીને સ્થાનિક લોકોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવે અને શહેરમાં રખડતા ઢોર પકડીને બહાર મૂકી દેવામાં આવે. જેથી કરીને કોઈ વ્યક્તિનો જીવ બચી શકે. જેને ધ્યાનમાં લઈને આજથી નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનું અભિયાન ચાલુ કરાયું હતું.